આલિયા-રણબીરનાં લગ્નની વાતોને આલિયાનાં માતા સોની રાઝદાનનો રદિયો

મુંબઈ – બોલીવૂડ કલાકારો – આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી રહ્યાં છે એવી અફવાઓ જોરદાર ફેલાઈ છે, પણ એવી વાતોને આલિયાનાં માતા અને પીઢ અભિનેત્રી સોની રાઝદાને રદિયો આપ્યો છે.

એવા પણ અહેવાલો હતા કે આલિયા અને રણબીરનાં લગ્ન રણવીર સિંહ-દીપિકા પદુકોણની જેમ લેક કોમો ખાતે યોજાશે, પણ રાઝદાને આ બધા અહેવાલોને માત્ર અફવા ગણાવ્યા છે.

સોની રાઝદાને આઈએએનએસ સમાચાર સંસ્થા સાથે ફોન પરની વાતચીતમાં કહ્યું કે, ‘આ બધી સદંતર પાયાવિહોણી અફવા છે.’

અનેક વેબ પોર્ટલ્સે અહેવાલો આપ્યા હતા કે આલિયા અને રણબીર યુરોપમાં રજા માણી રહ્યાં છે.

આલિયા હાલ ઘણી વ્યસ્ત છે. એની પાસે 3 ફિલ્મ છે. આલિયા અને રણબીર બંને જણ સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

રણબીર અને આલિયાએ રીયલ લાઈફમાં એમનાં રોમેન્ટિક સંબંધનો ગયા વર્ષે જાહેરમાં એકરાર કર્યો હતો. એ પ્રસંગ હતો અન્ય અભિનેત્રી સોનમ કપૂરનાં લગ્નનો.

અગાઉ એવા અહેવાલો હતા કે આલિયા અને રણબીર આ વર્ષમાં લગ્ન કરશે. એ વખતે પણ સોની રાઝદાને કહ્યું હતું કે, ‘બંનેનાં પ્રશંસકો એમનાં વિશે કંઈ પણ પૂછી શકે છે, એ તેમનો હક છે. હું આલિયાની માતા છું. હું મારી દીકરીનાં અંગત જીવન વિશે કોઈ પણ પ્રકારની વાત કરવા ઈચ્છતી નથી. હું ઈચ્છું છું કે એ ખુશ રહે. એ કંઈ પણ કરે એને મારાં આશીર્વાદ છે. હું એમ પણ ઈચ્છીશ કે એ તેનું જીવન એની મરજી પ્રમાણે જીવે.’

રાઝદાને વધુમાં એમ પણ કહ્યું કે, ‘માતા તરીકે હું એને કોઈ જ્ઞાન આપવા માગતી નથી, કારણ કે મારી આલિયા એક વ્યક્તિ તરીકે ઘણી જ સમજદાર છે.’