પ્રિયંકા ચોપરા ‘ઐતરાઝ’ની સીક્વલમાં પણ ભૂમિકા ભજવશે; અક્ષય કુમારનું કમબેક અચોક્કસ

મુંબઈ – અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ અમેરિકામાં એની અભિનયક્ષમતાનું પ્રદર્શન કરી રહી છે તે છતાં બોલીવૂડમાં પણ એ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એવા સમાચાર છે કે અવકાશયાત્રી રાકેશ શર્માની બાયોપીક ફિલ્મ ‘સેલ્યૂટ’ માટે પ્રિયંકાને પસંદ કરવામાં આવી છે. આમ, પ્રિયંકા ‘બાજીરાવ મસ્તાની’ બાદ ‘સેલ્યૂટ’માં ફરી જોવા મળશે. તે છતાં એવી પણ અફવા છે કે ‘ઐતરાઝ’ની સીક્વલ બની રહી છે અને એને માટે પ્રિયંકાને ફરી સાઈન કરવામાં આવી છે. અક્ષય કુમાર અને કરીના કપૂરની સાથે મૂળ ‘ઐતરાઝ’માં ચમકેલી પ્રિયંકાએ સોનિયા રોયની નકારાત્મક ભૂમિકા કરી હતી. પરંતુ એનાં અભિનયનાં વખામ થયા હતા. હવે ‘ઐતરાઝ’ની સીક્વલમાં પણ એ ફરી ચમકશે, પરંતુ સીક્વલમાં અક્ષય કુમાર પણ કમબેક કરશે કે કેમ એ હજી નક્કી થયું નથી.

નિર્માતા સુભાષ ઘઈએ ‘ઐતરાઝ’ની સીક્વલ માટે પ્રિયંકા સાથે ચર્ચા કરી હતી અને પ્રિયંકાને સીક્વલનો આઈડિયા ગમ્યો છે. નવી ફિલ્મમાં નવી સ્ટોરી અને નવું ટાઈટલ હશે.

સુભાષ ઘઈએ ‘ઐતરાઝ’ની સીક્વલ માટે પણ પોતાને પસંદ કરી છે એનાથી પ્રિયંકા બહુ ખુશ છે.

‘ઐતરાઝ’ના ક્લાઈમેક્સમાં પ્રિયંકાનું પાત્ર સોનિયા આત્મહત્યા કરે છે એટલે સીક્વલમાં નવો જ કોન્સેપ્ટ અપનાવવામાં આવશે એ સ્વાભાવિક છે.

અગાઉ એવા અહેવાલ હતા કે ‘ઐતરાઝ’ બાદ અક્ષય કુમાર અને પ્રિયંકા વચ્ચે સંબંધો બગડ્યા હતા અને બંનેએ એકબીજા સાથે ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં કામ ન કરવાનું નક્કી કર્યું હતું. તેથી સુભાષ ઘઈ સીક્વલ માટે પ્રિયંકાનાં હીરો તરીકે કોને પસંદ કરે છે એ જોવાનું રહ્યું.