‘કેસરી’માં અક્ષય કુમારની હીરોઈન તરીકે પરિણીતીની પસંદગી

મુંબઈ – નિર્માતા કરણ જોહરે એમની નવી હિન્દી ફિલ્મ ‘કેસરી’માં નાયક અક્ષય કુમારની નાયિકા તરીકે પરિણીતી ચોપરાને પસંદ કરી છે.

જોહરે આ જાહેરાત એમના ટ્વિટર પર કરી છે.

પરિણીતીએ પણ વળતું ટ્વીટ કર્યું છે કે, ‘આ દંતકથાસમા સફરનો હિસ્સો બનવા મળ્યું એ બદલ હું બહુ રોમાંચિત છું. થેંક્યૂ કરણ જોહર, અક્ષય કુમાર, અનુરાગ સિંહ’.

પરિણીતી આ પહેલી જ વાર અક્ષયની હીરોઈન તરીકે જોવા મળશે.

અનુરાગ સિંહ દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ ગયા અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને અક્ષયે પોતાની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ તરીકે ગણાવી છે. એણે તાજેતરમાં જ પોતાની ફિલ્મમાં પોતાના ફર્સ્ટ લૂકને રિલીઝ કર્યું હતું જેમાં એ કેસરી પાઘડી અને દાઢી સાથે જોઈ શકાય છે.

‘કેસરી’ ફિલ્મ આવતા વર્ષે હોળીના તહેવારમાં રિલીઝ કરાય એવી ધારણા છે.

આ ફિલ્મની વાર્તા બ્રિટિશ શાસનકાળ દરમિયાન થયેલી ‘સારાગઢીની લડાઈ’ પર આધારિત છે. 1897ની સાલમાં બ્રિટિશ ભારતીય સેનાની એક નાનકડી ટૂકડી અને અફઘાનિસ્તાનની સેના વચ્ચે સારાગઢી ખાતે યુદ્ધ થયું હતું. એમાં બ્રિટિશ ભારતીય સેનાના માત્ર 21 શીખ જવાનોએ 10 હજાર સૈનિકોની અફઘાન સેનાનો સામનો કર્યો હતો.