કાળિયાર શિકાર કેસઃ સૈફ, સોનાલી, નીલમને નિર્દોષ છોડતા ચુકાદા સામે રાજસ્થાન સરકાર અપીલમાં જશે

જોધપુર – રાજસ્થાન સરકારે જણાવ્યું છે કે કાળા હરણના શિકારના કેસમાં બોલીવૂડ કલાકારો સૈફ અલી ખાન, નીલમ કોઠારી, સોનાલી બેન્દ્રે અને તબુને નિર્દોષ છોડવાના નીચલી અદાલતના ચુકાદાને તે હાઈકોર્ટમાં પડકારશે.

રાજસ્થાન સરકારનો આ નિર્ણય ઉક્ત કલાકારોને નિર્દોષ છોડતા ચુકાદાને પાંચ મહિના થઈ ગયા બાદ આવ્યો છે. 1998માં ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન જોધપુરના જંગલમાં કાળિયારની હત્યા કરવાને લગતા આ કેસમાં સલમાન ખાનને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે અને એને પાંચ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે.

નીચલી અદાલતે તે છતાં સલમાનના સહ-કલાકારો – સૈફ, નીલમ, સોનાલી અને તબુ તથા જોધપુરના રહેવાસી દુષ્યંત સિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.