અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા?

મુંબઈ – બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને બે દિવસ પહેલાં અહીં વિલે પારલે (વેસ્ટ) સ્થિત નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ એ રૂટિન ચેકઅપ હતું અને એમને રજા પણ આપી દેવામાં આવી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ગયા મંગળવારે અમિતાભની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને અડધી રાતે બે વાગ્યે એમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા.

એક અન્ય અહેવાલ મુજબ, અમિતાભને બે દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને ગઈ કાલે રજા આપવામાં આવી હતી.

અમિતાભને લીવરની તકલીફ છે. કહેવાય છે કે એમનું લીવર માત્ર 25 ટકા જેટલું જ કામ કરે છે.

બોલીવૂડની અનેક હસ્તીઓએ હોસ્પિટલમાં જઈને અમિતાભની તબિયતની પૂછપરછ પણ કરી હતી.

જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો. બારવે અમિતાભની સારવાર કરી હોવાનો અહેવાલ છે.

બીજી બાજુ, ધ ક્વિન્ટના અહેવાલ અનુસાર, અમિતાભ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા, એમને દાખલ કરવામાં આવ્યા નહોતા.

અમિતાભ બચ્ચને ગઈ 11 ઓક્ટોબરે જ એમનો 77મો જન્મદિવસ ઉજવ્યો હતો. એ સોશિયલ મિડિયા પર સક્રિય રહે છે. ગયા મંગળવારે જ એમણે પોતાને જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ પ્રશંસકોનો આભાર માન્યો હતો.

ત્યારબાદ એમણે ફેસબુક પર એક જૂના પુરસ્કાર વિતરણ સમારંભનો ફોટો પણ શેર કર્યો હતો. તેમજ પત્ની જયા બચ્ચન સાથેનો એક ફોટો શેર કરીને એમને કરવા ચૌથ વ્રતની શુભેચ્છા આપી હતી.