અભિનેતા કુશાલ પંજાબીએ કરી આત્મહત્યા: ઘરેથી મળી સ્યુસાઈડ નોટ

નવી દિલ્હી: ટીવીથી બોલીવુડ સુધીની સફર ખેડનાર કુશાલ પંજાબીને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, કુશાલે આત્મહત્યા કરી લીધી છે. જોકે, તેમણે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ટેલીવિઝન અભિનેતા કુશાલ પંજાબીનો મૃતદેહ પાલી હિલ સ્થિતિ તેમના નિવાસ સ્થાન પર મળી આવ્યો છે. પોલીસને તેમના ઘરેથી સ્યુસાઈડ નોટ મળી છે. આ મામલે એક્સીડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

કુશાલની ઉંમર 37 વર્ષ હતી. તેના મોતના સમાચાર સાંભળીને તેના પરિવારજનો, સગા-સંબંધિઓ અને ચાહકોમાં શોકની લાગણી ફરી વળી છે. એક્ટરે ફેમસ ટીવી સીરિયલ ‘ઇશ્ક મેં મરજાવાં’માં પણ કામ કર્યુ હતુ. કુશાલ પંજાબીના પરિવારમાં તેની પત્ની, માતા-પિતા, બહેન અને એક ચાર વર્ષનો પુત્ર છે.

કુશાલ પંજાબીના મૃત્યુની જાણકારી ટેલીવિઝનના જાણીતા અભિનેતા કરણવીર બોહરાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે, તે કુશાલ પંજાબીના મોતથી હેરાન છે. કુશાલ પંજાબી એક ઉમદા અને સારો માણસ હતો, ખુશમિજાજી હતો. હું પણ કુશાલના મોતના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયો છું. કરણવીરે કહ્યું મને ખબર નથી પડતી કે તે કયા પ્રકારની માનસિક બિમારીમાંથી પસાર થઇ રહ્યો હતો કે, જેના કારણે તેને આ પગલુ ભર્યુ.

ઉલ્લેખનીય છે કે, કુશાલ પંજાબીએ ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની ફિલ્મ કાલ, નિખિલ અડવાણીની સલામ-એ-ઇશ્ક અને વિવેક અગ્નિહોત્રીની દે દના દન અને ગોલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. આ ઉપરાંત તેને કેટલાય રિયાલિટી શૉ, વેબ શૉ, કુસુમ, ઇશ્ક મે મરજાવાં સહિતની લોકપ્રિય ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ હતું.