‘બર્બર હત્યારા’ ટીપુ જયંતિના કાર્યક્રમમાં મને સામેલ ન કરોઃ કેન્દ્રીય પ્રધાન

નવી દિલ્હી– કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ ટીપુ સુલ્તાનને બર્બર હત્યારા અને બળાત્કારી દર્શાવીને કર્ણાટક સરકારને ટીપુ જયંતિ સાથે જોડાયેલા તમામ આયોજનોમાં તેમને સામેલ નહી કરવા કહ્યું છે. હેગડેએ આ બાબતે કર્ણાટક સરકારના અગ્રણી અધિકારીઓને પત્ર લખ્યો છે. મુખ્ય સચિવ અને ઉત્તરી કન્નડાના ઉપાયુક્તને લખેલ પત્રમાં હેગડેએ 10 નવેમ્બરના રોડ આયોજિત થનાર ટીપુ સુલતાનની જયંતિ કાર્યક્રમમાં તેમનું નામ સામેલ નહી કરવા કહ્યું છે.

હેગડેએ એક ટ્વીટ કરીને કહ્યું છે કે મે કર્ણાટક સરકારને એક એવા બર્બર હત્યારા, કટ્ટરપંથી અને માસ રેપિસ્ટ માટે આયોજિત જયંતિ કાર્યક્રમમાં મને ન બોલાવવા જણાવ્યું છે. હેગડેના આ નિવેદનથી રાજકીય મોરચે ધમાસણ મચી ગયું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધાર્થરમૈયાએ કહ્યું છે કે સરકારનો હિસ્સો હોવાથી હેગડેએ આ રીતનો પત્ર ન લખવો જોઈએ. તેમણે જણાવ્યું કે ટીપુ જયંતિના કાર્યક્રમનું આમંત્રણ તમામ કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનોને મોકલવામાં આવે છે, આવવું ન આવવું તે તેમના પર નિર્ભર કરે છે.

સીએમે કહ્યું હતું કે આને રાજનૈતિક મુદ્દો બનાવાઈ રહ્યો છે. બ્રિટિશોની વિરુદ્ધ ચાર યુદ્ધ લડયા હતા, ટીપુએ તમામમાં હિસ્સો લીધો હતો. અત્રે નોંધનીય છે કે પાંચ વાર લોકસભા સાંસદ હેગડે સત્તાધારી કોંગ્રેસ સરકારના ટીકાકાર રહ્યા છે.