મોદીનો ઇશારો પારખી માલ્યા ફરી કગર્યોઃ બાકી નાણાં ચૂકવવા માટે તૈયાર છું…

નવી દિલ્હી: બેંકોના હજારો કરોડો રૂપિયાને લઈને ભાગી ગયેલા વિજય માલ્યાએ ગુરુવારે અનેક ટ્વીટ કર્યા છે, અને કહ્યું છે કે બેંકોના બાકી લેણાંની રકમ ચૂકવવાની વાત ફરીથી કહી છે. લોકસભામાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની પ્રતિક્રિયામાં વિજય માલ્યાને ભારત લાવવાની વાત સામે આવી હતી.

વિજય માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે બુધવારે સંસદમાં વડાપ્રધાન મોદીએ આપેલ ભાષણ મે સાંભળ્યું છે, તેઓ ખૂબ જ હોશિંયાર વાકપટુતા ધરાવતા પીએમ છે. ભાષણમાં તેમણે 9000 કરોડ રૂપિયા લઈને ભાગી જનાર એક અજ્ઞાત શખ્સનો ઉલ્લેખ કર્યો હતો. મીડિયામાં કહેલી અને સાંભળેવી વાતો પરથી હું અંદાજો લગાવી શકું છું કે તેમનો ઈશારો મારા તરફ હતો.

તેમણે બીજુ ટ્વીટ કરીને કહ્યું, હું આદરપૂર્વક પુછુ છું કે હું પૈસા આપવાની રજૂઆત કરી ચૂક્યો છું. તો પછી વડાપ્રધાન તેમની બેંકોને મારી પાસેથી પૈસા લેવાનો નિર્દેશ કેમ નથી આપી રહી. જેનાથી તેઓ કિંગફિશર એરલાઈન્સને આપેલ લોનની પૂરી વસૂલીના દાવો કરી શકશે.

વિજય માલ્યાએ કહ્યું હતું કે બેંકોના બાકી લેણાની રકમ ચૂકવવા માટેની હું રજૂઆત કર્ણાટક હાઈકોર્ટમાં કરી ચૂક્યો છું. તેને હળવાશથી લઈને તેને નકારી શકાય નહી. આ વાસ્તવિક, ગંભીર, ઈમાનદાર અને તાત્કાલિક રજૂઆત કરી છે. મને ખબર નથી પડતી કે બેંક કિંગફિશર એરલાઈન્સને આપેલ પૈસા કેમ પાછા લઈ રહી નથી.

વિજય માલ્યાએ કહ્યું કે મને મીડિયા દ્વારા પ્રસારિત થયેલ ઈડીના દાવાની વાત કરતાં ખૂબ જ પીડા થઈ રહી છે. જેમાં એમ કહેવાયું છે કે મે મારી સંપત્તિ છુપાવી છે. તો લગભગ 14,000 કરોડ રૂપિયાની સંપત્તિને મે કોર્ટમાં ખુલ્લી રીતે રજૂ કરી છે? લોકોમાં શરમ આવે તે રીતે ભ્રામક વાતો ફેલાવામાં આવી રહી છે, આ વાત અચંબિત કરનારી છે.

અત્રે નોંધનીય છે કે આર્થિક અપરાધ અધિનિયમ અનુસાર વીતેલા મહિને વિજય માલ્યાને એક ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરાયો છે. તે 2 માર્ચ, 2016ના રોજ દેશ છોડીને ભાગી ગયા છે. લંડનની કોર્ટે 10 ડિસેમ્બર, 2018ના રોજ તેને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. બ્રિટનની સરકારે સોમવારે જણાવ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટેનના ગૃહમંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. આ ભાગેડુ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે, અને તેને ભારતમાં પાછો લાવવા માટે ભારતના પ્રયાસની સૌથી મોટી જીત ગણાય છે.