ઇ-વોલેટ ફ્રોડનો ભોગ બન્યા હો તો રીફંડ મેળવવાની પ્રક્રિયા શું છે?

નવી દિલ્હીઃ  શહેરી વિસ્તારના લોકો અને યુવાનોમાં ડિજિટલ વોલેટ ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. સરળ ટ્રાન્ઝેક્શન અને કેશબેક ઓફર તેનું મુખ્ય કારણ છે. વર્ષોથી, બજારમાં ઘણાં ડિજિટલ વોલેટ આવ્યાં છે. ડિજિટલ વોલેટ દ્વારા કોઈપણ તેમના બિલ ચૂકવી શકે છે, પૈસાનું ટ્રાંઝેક્શન કરી શકે છે અને ટિકિટ બુક કરાવવા સહિતની ઘણી વસ્તુઓ ફક્ત સેકંડમાં જ કરી શકે છે.

આ બધું હોવા છતાં ડિજિટલ વોલેટમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ બને છે. આ છેતરપિંડીના કેસોમાં લોકો થોડીક સેકંડમાં હજારો રૂપિયા ગુમાવે છે. ગ્રાહકે આવી છેતરપિંડીથી વાકેફ હોવું જોઈએ અને તેની વ્યક્તિગત બેંકિંગ માહિતી ક્યારેય કોઈને જાહેર ન કરવી જોઈએ. જો કોઈ ગ્રાહક ઇ- વોલેટ ફ્રોડનો શિકાર બને છે, તો તે જાણવું જોઈએ કે તેના કયા અધિકાર છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2019માં, ભારતીય રિઝર્વ બેંકે બધા મોબાઇલ વોલેટ વપરાશકર્તાઓ માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ધારકોની જેમ સમાન સુરક્ષા પ્રદાન કરવી ફરજિયાત કરી દીધી છે. આરબીઆઈએ ડિજિટલ વોલેટ કંપનીઓને 24 * 7 કસ્ટમર કેર હેલ્પલાઈન સ્થાપવા પણ કહ્યું છે, જ્યાં લોકો તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે ફરિયાદ કરી શકે છે.

આરબીઆઈ એ જોગવાઈ પણ લાવી છે કે જો ત્રણ દિવસમાં ફરિયાદ આવે તો આખી રકમ પરત મળી જશે. જો છેતરપિંડી ચારથી સાત દિવસની વચ્ચે નોંધાય છે, તો ટ્રાંઝેક્શનની રકમ અથવા 10,000 રૂપિયા, જે પણ ઓછું હશે તે પરત કરવામાં આવશે. તો છેતરપિંડીનો અહેવાલ સાત દિવસ પછી આપવામાં આવે તો  ઇ-વોલેટ કંપનીની આરબીઆઈ દ્વારા માન્ય નીતિ અનુસાર રિફંડ આપવામાં આવશે.

જો કે, ગ્રાહકે અહીં એક વધુ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. દિશાનિર્દેશો અનુસાર, કોઈ ગ્રાહક તેની પોતાની ભૂલના કારણે અનધિકૃત વ્યવહારો માટે પોતે જવાબદાર રહેશે.

છેતરપિંડીથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો

1. તમારો પિન, સીવીવી અને ઓટીપી નંબર ક્યાંય પણ દાખલ કરશો નહીં, સિવાય કે તમને ખાતરી હોય કે તે સુરક્ષિત પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મ છે.

2. સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરીને ક્યારેય ઇ-વોલેટ સાથે લેવડદેવડ ન કરો.

3- ટ્રાન્ઝેક્શન  વ્યવહાર માટે અથવા બેંકની માહિતી એકત્રિત કરવા માટે હંમેશાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

4- કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે, ખાતરી કરો કે તમારું કનેક્શન સુરક્ષિત છે. ખાતરી કરો કે URL https: // અથવા http: // થી પ્રારંભ થાય છે.