550 કરોડ ચૂકવવા મામલે અનિલ અંબાણીએ સુપ્રીમમાં મૂકી આ ઓફર

નવી દિલ્હીઃ રીલાયંસ કોમ્યુનિકેશન લિમિટેડના ચેરમેન અનિલ અંબાણીને આશરે 550 કરોડ રુપિયાના બાકી નાણાં મામલે સુપ્રીમ કોર્ટની નોટિસ મળી છે. કોર્ટે તેમને ચાર સપ્તાહનો સમય આપ્યો છે જેમાં અંબાણીને પોતાનો જવાબ આપવાનો રહેશે. હકીકતમાં એરિક્સન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે આરકોમના ચેરમેન વિરુદ્ધ અવમાનના અરજી દાખલ કરી હતી જેમાં કથિત રીતે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવાને લઈને ફરિયાદ કરવામાં આવી હતી.

આ પહેલા કોર્ટે પોતાના આદેશમાં અંબાણીને 550 કરોડ રુપિયાની બાકી રકમ ચૂકવવા માટે કહ્યું હતું. જો કે અંબાણી દ્વારા હવે ઓફર આપવામાં આવી છે કે તે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સાથે 118 કરોડ રુપિયા જમા કરાવવા માટે રાજી છે.

આપને જણાવી દઈએ કે કંપની પર અત્યારે 47 હજાર કરોડ રુપિયાનું દેણું છે. તાજા મામલે કોર્ટમાં આરકોમ તરફથી વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલ અને મુકુલ રોહાતગીએ કોર્ટમાં કહ્યું હતું કે તે એરિક્સન ઈન્ડિયાને 118 કરોડ રુપિયાની રકમ આપવા માટે તૈયાર છે પરંતુ કંપનીનો પક્ષ રાખી રહેલા વકીલે આનાથી ઈનકાર કરી દીધો હતો. એરિક્સન દ્વારા તેમણે કહ્યું કે અંબાણી 550 કરોડ રુપિયાની બાકી રકમ જમા કરાવે.

સુનાવણી દરમિયાન બેંચમાં જસ્ટિસ આર.એફ નરીમને આના બાદ આરકોમને રજિસ્ટ્રીમાં 118 કરોડ રુપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા માટે કહ્યું હતું. આ પહેલા દેણાના બોજ હેઠળ દબાયેલી રિલાયન્સ કમ્યુનિકેશને એરિક્સન પર આરોપ લગાવવા આવ્યો હતો કે તે તેનો મીડિયા ટ્રાયલ કરી રહી છે અને બાકી રકમને લઈને મામલો વધારે ઉગ્ર બનાવી રહી છે.