બેંક શેરો પાછળ વેચવાલીથી શેરબજારનો સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં શરૂની સામાન્ય મજબૂતી પછી નરમાઈ રહી હતી. ટ્રેડિંગ સેશનના છેલ્લા બે કલાકમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બપોર પછી પીએસયુ બેંકોની સાથે મેટલ, એફએમસીજી, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી ઈન્ડેક્સ ઘટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 150.20(0.44 ટકા) ઘટી 33,685.54 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 50.75(0.49 ટકા) ઘટી 10,360.15 બંધ થયો હતો.ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરબજાર સામાન્ય સુધારા સાથે ખુલ્યું હતું, શરૂમાં નવી લેવાલી હતી, પણ દરેક ઊંચા મથાળે નવી લેવાલી અટકી જતી હતી. રીટેઈલ અને જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને આવ્યો છે. તેની સાથે આઈઆઈપી ગ્રોથ પણ વધીને આવ્યો છે, તેમ છતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું. બપોરે યુરોપના સ્ટોક માર્કેટ માઈનસમાં ઓપન થયા હતા, પીએનબીમાં નવું કૌભાંડ બહાર આવ્યું છે, તેવા અહેવાલો પાછળ પીએસયુ બેંક શેરોમાં ભારે વેચવાલી રહી હતી.

  • ભારત ડાયનામિક્સનો આઈપીઓ ત્રીજા દિવસે 57 ટકાથી વધુ સબસ્ક્રાઈબ થઈ ગયો છે, આ ઈસ્યૂ 13 માર્ચે ખુલ્યો હતો, અને આજે 15 માર્ચે બંધ થયો છે. તેમાં શેરની પ્રાઈઝ બેન્ડ રુ.413-428 નક્કી કરાઈ હતી. કંપની આઈપીઓ દ્વારા રુ.960 કરોડની મૂડી એકત્રિત કરશે.
  • એમએમટીસીમાં બોનસ શેર માટે 19 માર્ચે બોર્ડની બેઠક મળનાર છે, જેને પગલે એમએમટીસીના શેરમાં નવી લેવાલીથી ઉછાળો નોંધાયો હતો.
  • બંધન બેંકનો આઈપીઓ આજે ખુલ્યો હતો, તે 19 માર્ચ સુધી ખુલ્લો રહેશે. બંધન બેંકના શેરની પ્રાઈઝ બેન્ડ રુ.370-375 નક્કી કરાઈ છે. બંધન બેંક આઈપીઓ દ્વારા રુ.4473 કરોડની રકમ એકત્રિત કરશે.
  • આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો આઈપીઓ 22 માર્ચે ખુલશે, અને તેના શેરની પ્રાઈઝ બેન્ડ રુ.519-520 નક્કી કરાઈ છે.
  • બુધવારે એફઆઈઆઈએ રુ.258 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.432 કરોડનું વેચાણ કર્યું હતું.
  • નરમ બજારમાં પણ રોકડાના શેરોમાં લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 79.55 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 141.63 ઊંચકાયો હતો.
  • તે સિવાય તમામ સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ રહ્યા હતા.