ભારે વેચવાલી ફરી વળતાં શેરબજારના સેન્સેક્સમાં 281 પોઈન્ટનું ગાબડુ

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે શરૂની સામાન્ય મજબૂતી પછી નરમાઈ રહી હતી. દરેક ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી ફરી વળી હતી. આજે ખાસ કરીને ઈન્ડેક્સ બેઈઝ્ડ હેવીવેઈટ શેરોમાં વેચવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 281.00(0.84 ટકા) ઘટી 33,033.56 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 96.80(0.94 ટકા) ઘટી 10,224.95 બંધ થયો હતો.ગ્લોબલ માર્કેટના નબળા સંકેતોને પગલે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ સામાન્ય સુધારા સાથે ખુલ્યા હતા. લાર્સન ટુબ્રોના નવા ઓર્ડરફ્લો પરની ગાઈડન્સમાં ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધારો જેને પગલે રીલાયન્સ અને ઓએનજીસીમાં ભારે વેચવાલી ફરી વળી હતી. તદઉપરાંત કૉલ ઈન્ડિયા, અદાણી પોર્ટ અને આઈડિયાના પરિણામ નિરુત્સાહી આવ્યા હતા, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

પશ્વિમ એશિયામાં જીઓપોલીટીકલ ટેન્શન વધ્યું છે, સપ્ટેમ્બર મહિનામાં ઔધોગિક ઉત્પાદનનો ગ્રોથ સુસ્ત રહ્યો છે. સપ્ટેમ્બરનો આઈઆઈપી ઘટી 3.8 ટકા રહ્યો છે. જેને પગલે શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી ફરી વળી હતી. તેમજ અમેરિકામાં ટેક્સ રીફોર્મ્સ થયા નથી, પરિણામે એશિયાઈ સ્ટોક માર્કેટ નેગેટિવ રહ્યા હતા.

  • આઈડિયાનો સપ્ટેમ્બર કવાર્ટરમાં રૂપિયા 1106 કરોડની ખોટ દર્શાવી છે. જે પરિણામ પછી આઈડિયાનો શેર 5.92 ટકા તૂટી રૂ.91.30 થયો હતો.
  • આજે તમામ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી, જો કે આઈટી સેકટરના શેરોમાં ટેકારૂપી લેવાલીથી સામાન્ય મજબૂતી રહી હતી.
  • રોકડાના શેરોમાં પણ વેચવાલી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 31.72 માઈનસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 73.05 ઘટ્યો હતો.
  • પીસી જ્વેલરનો નફો 40.7 ટકા વધ્યો
  • ટાટા કેમિકલનો નફો 43 ટકા વધ્યો, આવક 2.4 ટકા વધી
  • એનટીપીસીનો નફો 2.4 ટકા ઘટ્યો, આવક 1.6 ટકા વધી
  • અદાણી પોર્ટસનો નફો 7.9 ટકા ઘટી રૂ.992.40 કરોડ નોંધાયો હતો., જો કે કુલ આવક 24.6 ટકા વધી રૂ.2706.10 કરોડ થઈ હતી.
  • સ્પાઈસ જેટનો નફો 78.3 ટકા વધી રૂ.104.50 કરોડ થયો હતો. જ્યારે કુલ આવક 29.6 ટકા વધી રૂ.1815.20 કરોડ થઈ હતી.