MSME ઉદ્યોગો માટે ખુશીના સમાચાર, મુદ્રા લોન હવે 20 લાખ સુધી!

નવી દિલ્હી- મુદ્રા લોન હેઠળ લોકોને હવે 20 લાખ સુધીની લોન મળી શકશે. કેન્દ્ર સરકારના પ્રધાને સંસદમાં આ જાણકારી આપી હતી. હકીકતમાં નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) પર બનેલી રિઝર્વ બેંકની વિશેષજ્ઞોની સમિતિએ આ ભલામણ કરી છે.નિતીન ગડકરીએ આ માહિતી આપી હતી. આરબીઆઈએ MSMEની આર્થિક અને નાણાકીય સ્થિરતા માટે લાંબા ગાળાના સમાધાન માટે 8 સભ્યોની સમિતિની રચના કરી હતી.

આ સમિતિએ રિઝર્વ બેંકને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં એમએસએમઈ અને સ્વસહાયતા સમૂહો માટે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવાની ભલામણ કરવામાં આવી છે. આ જાણકારી એમએસએમઈ પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આપી હતી.

જાણકારોનું કહેવું છે કે, દેશની અર્થવ્યવસ્થાની ગતી ધીમી પડી ગઈ છે. જેથી રોજગારની તકોમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી આરબીઆઈની સમિતિએ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ભલામણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજનાની શરુઆત 2015માં કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય નાનથી લઈને મધ્યમ ધંધાર્થીઓને વગર કોઈ જામીનગીરીએ લોન ઉપલબ્ધ કરાવવાનો છે.