નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન આપીને રીઝવવા સરકારની તૈયારી

નવી દિલ્હી- સરકાર નાના અને સીમાંત ખેડૂતો માટે પેન્શન યોજના લાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું છે કે ગ્રામીણ સેકટરને આવકની સુરક્ષા આપવા માટે સ્વૈચ્છિક પેન્શન યોજનાને મંજૂરી અપાઈ ચૂકી છે. આ યોજના દેશમાં લાગુ કરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આવી એક વધુ યોજના અનુસાર નાના દુકાનદારો અને સ્વરોજગારીમાં કામ કરતાં લોકોને આર્થિક સુરક્ષા આપશે.

નાણાંપ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે ઈકોનોમીની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર જાહેર કરવા માટે કોઈ દરખાસ્ત નથી. ઈકોનોમીમાં માળખાગત સુધારાથી વિકાસને ગતિ મળશે. જેનાથી સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં નવી રોજગારી પેદા થશે.

સરકાર પાછલા કેટલાય સમયથી સતત સુધારાને અંજામ આપી રહી છે. સીતારમને આઈબીસીનું ઉદાહરણ આપતાં કહ્યું કે ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ દેશમાં ફાઈનાન્સિયલ સ્થિતિમાં સુધારો લાવવાનું એક સૌથી મોટું પગલું છે.

આ દરમિયાન નાણાંપ્રધાને નોટબંધીનો બચાવ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે કાળાધનથી છૂટકારો મેળવવા માટે અને ટેક્સ આધારમાં વધારો થાય તે માટે નોટબંધી જરૂરી હતી. કોઈપણ દેશના વિકાસમાં માળખાગત સુધારાનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જો કે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે નોટબંધીના પ્રભાવની સીધી રીતે આકલન કરવા માટે આંકડા ઉપલબ્ધ નથી.