1 નવેંબરથી નવા નિયમોઃ મહારાષ્ટ્રમાં લાગુ થશે બેન્કોનું નવું ટાઈમટેબલ

મુંબઈ – આવતી 1 નવેંબરથી દેશભરમાં બેન્કોથી લઈને અમુક સેવાઓમાં પરિવર્તન લાગુ થનાર છે. એ ધ્યાનમાં લેવાની જરૂર છે, કારણ કે એની અસર સામાન્ય લોકોનાં જીવન પર થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં બેન્કોના સમયપત્રકમાં ફેરફાર

મહારાષ્ટ્રમાં સરકાર હસ્તકની બેન્કો માટે 1 નવેંબરથી નવું ટાઈમટેબલ નક્કી થઈ ગયું છે. હવે આ રાજ્યમાં તમામ બેન્કો સવારે એક જ સમયે ખુલશે અને સાંજે એક જ સમયે બંધ થશે. સામાન્ય રીતે બેન્કોનો સમય સવારે 10થી સાંજે પાંચ સુધીનો હોય છે. પરંતુ આર્થિક લેવડદેવડનું કામકાજ બપોરે 3.30 સુધી જ ચાલે છે. બેન્કર્સ કમિટીએ મહારાષ્ટ્રમાં જે નવું સમયપત્રક નક્કી કર્યું છે તે મુજબ, બેન્કો સવારે 9 વાગ્યે ખુલી જશે અને સાંજે 4 વાગ્યા સુધી કામ કરશે. આ નિયમ 1 નવેંબરથી લાગુ થશે. હાલ એક જ મોહલ્લમામાં બેન્કોના કામકાજના સમયમાં ફરક રહેતો હોય છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

જે લોકો એસબીઆઈના ગ્રાહક/ખાતેદારો છે તેમને માટે એક નવેંબરથી ડિપોઝીટ પર વ્યાજના દર બદલાઈ જશે. બેન્કના આ નિર્ણયથી તેના 42 કરોડ ગ્રાહકો પર અસર થશે. એસબીઆઈની જાહેરાત મુજબ, એક લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ પર વ્યાજનો દર 0.24 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરવામાં આવ્યો છે.

ડિજિટલ પેમેન્ટ સ્વીકારવું અનિવાર્ય

નાણાં મંત્રાલય એક નવેંબરથી પેમેન્ટને લગતા નિયમોમાં ફેરફાર કરવાનું છે. તે અંતર્ગત વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવું ફરજિયાત બનશે. તે ઉપરાંત, ગ્રાહક કે મરચંટ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ પણ ચાર્જિસ કે મરચંટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવામાં નહીં આવે. નવા નિયમો અનુસાર, રૂ. 50 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે પણ આ નિયમ લાગુ થશે. આનો અર્થ એ કે વેપારીઓએ ઈલેક્ટ્રોનિક માધ્યમથી કરાનાર કોઈ પણ પેમેન્ટ પર હવે કોઈ ટેક્સ કે ચાર્જિસ ભરવા નહીં પડે.