મોદી સરકારની ખેડૂતલક્ષી યોજનાઃ રાહત દરે મળશે સોલાર પંપ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને સબસિડી રેટ પર સોલાર પંપ આપવા જઈ રહી છે. ખેડૂતોને સોલાર પંપ આપવાનું કામ થોડા સમયમાં જ શરુ થશે. સિંચાઈ માટે પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને સોલાર પંપની કુલ કીમતના માત્ર 40 ટકા જેટલા જ રુપિયા ભરવા પડશે. કુલ કીંમતના 30 ટકા જેટલા પૈસા કેન્દ્ર સરકાર આપશે અને 30 ટકા જેટલા નાણાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને અન્ય 40 ટકા જેટલી રકમ ખેડૂતે આપવાની રહેશે.

આ 40 ટકા નાણાં માટે ખેડૂતોને બેંકમાંથી હપ્તાની સુવિધા આપવામાં આવશે. એમએનઆરઈ અનુસાર ખેડૂતોને સબસિડી દર પર સોલાર પંપ આપવાના મામલે રાજ્ય સરકારની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. એમએનઆરઈના અધિકારી અનુસાર અત્યારે હોર્સ પાવર સોલાર પંપનો ખર્ચ 90 હજાર રુપિયા જેટલો થાય છે. ત્યારે આવામાં ખેડૂતોને પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે માત્ર 40 ટકા જેટલી જ રકમ આપવી પડશે.

વીજળી મંત્રાલય અનુસાર દેશભરમાં 27.5 લાખ ખેડીતોને સોલાર પંપ આપવાની તૈયારી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આવનારા થોડા સમયમાં જ કામ શરુ થઈ જશે. પ્રત્યેક રાજ્ય અલગઅલગ સમયે આ યોજના લોન્ચ કરશે. રાજ્ય સરકાર આ યોજનાને લઈને ઉત્સાહિત છે બને તેટલી જલદી આ યોજનાને લાગુ કરવા ઈચ્છે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ કામમાં અગ્રણી ભૂમિકા નિભાવી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 27.5 લાખ સોલાર પંપ આવનારા ચાર વર્ષમાં ખેડીતોને આપવાની યોજના છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં 7 લાખ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો સોલાર પંપ લઈ શકે તે માટે ખેડૂતોને બેંકોમાંથી લોન અપાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.