હવે ચેક ભરવામાં ભૂલ થશે તો નહી ચાલે, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ ડિજિટલ અને કેશલેસ બેન્કિંગ યુગમાં આજે પણ ઘણા લોકો ચેકથી નાણાની ચુકવણી કરે છે. જોકે નોટબંધી બાદ ચેકથી કરવામાં આવતી લેણ-દેણની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ છતાં પણ ઘણી કંપનીઓ અને વ્યક્તિગત ગ્રાહકો હજુ પણ આજ રીતે ચૂકવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચેક પર કરેલ એક નાકડી ભૂલથી તમને મોટું નુકસાન થઈ શકે છે. આ ભૂલથી તમારા ક્રેડિટ સ્કોર પર તો અસર પડે જ છે, સાથે જ તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે. જે ભૂલનો આપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે છે તેમાં સમાવેશ થાય છે ચેકનું બાઉન્સ થવું. આ ભૂલ પર બેંક 800 રૂપિયા સુધીની રકમ તમારા એકાઉન્ટમાંથી કટ કરી લે છે.

ચેક બાઉન્સ બે રીતે થાય છે. પ્રથમ ખાતામાં બેલેન્સનું ઓછું થવું અને બીજું, કોઈ પણ પ્રકારની ટેક્નિકલ ભૂલ થવી જેવી કે  સાઇન ફેરફાર, શબ્દોમાં ભૂલ વગેરે. ચેક બાઉન્સ હોવા પર બેંક 800 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરે છે. એસબીઆઇ 500 રૂપિયા પ્લસ જીએસટી વસૂલાત કરે છે. જો કોઈ ટેક્નિકલ ખામીના કારણે ચેક રિટર્ન થાય તો બેન્ક 150 રૂપિયા ઉપરાંત જીએસટીનો ચાર્જ લે છે.

બેન્ક ઓફ બરોડામાં એક લાખ રૂપિયા સુધીનો ચેક ટેકનિકલ કારણોથી રિટર્ન થવા પર 250 રૂપિયા અને એક લાખથી એક કરોડ રૂપિયા સુધીનો ચેક રિટર્ન થાય તે માટે રૂ. 750 નો દંડ વસૂલ કરવામાં આવે છે. તેવી જ રીતે આઈસીઆઈસીઆઇ, એક્સિસ અને એચડીએફસી બેન્કમાં પણ 500 રૂપિયાથી લઇને 800 રૂપિયા સુધીના દંડની વસૂલાત કરવામાં આવે છે. ચેક બાઉન્સ ઈન્ડિયામાં નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881માં થયેલા સંશોધન બાદ સેક્શન 138 હેઠળ ગુનો માનવામાં આવે છે.

ચેક બાઉન્સ થવા પર 2 વર્ષ સુધીની જેલ અથવા ચેકમાં ભરેલી રકમની બમણી રકમ સુધીનો  દંડ અથવા બન્ને થઈ શકે છે. તેના હેઠળ જો અપુરતું બેલેન્સ હોવાને કારણે ચેક બાઉન્સ થાય તો ગુનો નોંધાય છે.