મારુતિ સુઝૂકી 2020ના એપ્રિલથી ભારતમાં ડિઝલ કાર વેચવાનું બંધ કરશે

નવી દિલ્હી – દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તે આવતા વર્ષના એપ્રિલ મહિનાથી દેશમાં ડિઝલ કાર વેચવાનું બંધ કરી દેશે.

મારુતિના ચેરમેન આર.સી. ભાર્ગવે કહ્યું કે 2020ની 1 એપ્રિલથી કંપની તેના પોર્ટફોલિઓમાંથી ડિઝલ કાર નહીં વેચે, કારણ કે આ કારની માસ ડિમાન્ડ રહી નથી.

મારુતિ સુઝૂકી જોકે 1500 સીસીથી ઉપરની ડિઝલ કાર વેચવાનું કદાચ ચાલુ રાખશે. બલેનો કાર આ કેટેગરીમાં આવે છે જેને તેણે તાજેતરમાં જ લોન્ચ કરી છે.

ભાર્ગવે કહ્યું કે માત્ર 1500 સીસીના ડિઝલ વાહનો માટે જ ભવિષ્ય સારું છે. હવે અમારે એ જોવું પડશે કે ડિઝલ વાહનો બનાવવાની અમારે જરૂર છે કે નહીં, અને અમે માર્કેટમાં ડિમાન્ડને ધ્યાનમાં રાખીને એ નક્કી કરીશું.

સરકારે BS IV વેહિકલને વેચવા અને રજિસ્ટર કરવા માટે 2020ની 31 માર્ચની ડેડલાઈન નક્કી કરી છે. મારુતિનું માનવું છે કે BS VI નિયમો લાગુ થતાં 1500 સીસીથી ઓછા પાવરવાળા ડિઝલ એન્જીનો આર્થિક રીતે નકામા થઈ ગયા છે. અમે અમારા વાહનોના ઉત્પાદનો વિશે નવી યોજના ઘડીશું અને ડેડલાઈનની પહેલાં એકેય BS VI કાર રહી ન જાય એની તકેદારી રાખીશું.