BSEમાં યોગી આદિત્યનાથે લોન્ચ કર્યા લખનઉ નગર-નિગમ બોન્ડ

મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે મુંબઈની મુલાકાતે આવ્યા છે અને તેમના રાજ્યના વિકાસને લગતા સપનાંઓને સાકાર કરવાની યોજનાઓના ભાગસ્વરૂપ લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન (એલએમસી) બોન્ડ્સના મુંબઈ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ)માં લિસ્ટિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ઉ.પ્ર. સરકારે રાજ્યના પાટનગર લખનઉમાં સૌંદર્યીકરણ અને સાફ-સફાઈ કાર્યો માટે ગયા મહિને રૂ. 200 કરોડના બોન્ડ ઈસ્યૂ કર્યા હતા. કોરોના સંકટકાળ હોવા છતાં બોન્ડ ઈસ્યૂને 225 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. હવે આ બોન્ડ બીએસઈમાં લિસ્ટેડ થઈ ગયા છે. આ પ્રસંગે આદિત્યનાથે કહ્યું કે હવે આ જ રીતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને આગરા જેવા અન્ય મોટા મહાનગરપાલિકા શહેરોમાં વિકાસકાર્યો હાથ ધરવા માટે બોન્ડ ઈસ્યૂ કરવામાં આવશે.

આ પ્રસંગે એશિયાના સૌથી જૂના શેરબજાર બીએસઈના સીઈઓ આશિષ ચૌહાણ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા. આદિત્યનાથ સાથે એમના પ્રધાનમંડળના સાથીઓ – આશુતોષ ટંડન, સતિષ મહાના, સિદ્ધાર્થ નાથ સિંહ, લખનઉનાં મહિલા મેયર સંયુક્તા ભાટિયા હતા.