જેટ એરવેઝને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગઈ રૂ. 1,261 કરોડની ખોટ

મુંબઈ – દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન જેટ એરવેઝે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ક્વાર્ટરમાં રૂ. 1,261 કરોડની ખોટ દર્શાવી છે. 2017ના આ જ સમયગાળા વખતે એણે રૂ. 71 કરોડનો નફો કર્યો હતો.

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતન અને જેટ ફ્યુઅલના વધી ગયેલા ભાવને કારણે પોતે ખોટ કરી હોવાનું જેટ એરવેઝ જણાવે છે.

જેટ એરવેઝની હરીફ એરલાઈન ઈન્ડીગોએ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રૂ. 652.13 કરોડની ખોટ દર્શાવી છે. એણે પણ એક વર્ષ પહેલાના આ જ ક્વાર્ટરમાં રૂ. 551.56 કરોડનો નફો કર્યો હતો. આમ, પબ્લિક ટ્રેડેડ કંપની બન્યા બાદ ઈન્ડીગોએ પણ પહેલી જ વાર ખોટ કરી છે.

નરેશ ગોયલની માલિકીની એરલાઈન જેટ એરવેઝ હાલ સખત નાણાંભીડમાં ફસાઈ છે. એણે તેના સ્ટાફને પગાર તથા અન્ય ચૂકવણીઓ કરવામાં પણ વિલંબ કર્યો છે.

કંપનીનું કુલ વેચાણ રૂ. 6,363 કરોડ થયું, જે ગયા વર્ષના આ જ ક્વાર્ટરની તુલનાએ 6.9 ટકાનો વધારો સૂચવે છે.