હવે આવી રીતે કરો એટીએમનો ઉપયોગ, નહીં તો થશે મુશ્કેલી

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ચિપ આધારિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિશે સાંભળ્યું જ હશે. આને 1 જાન્યુઆરી 2019થી અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે આપને જૂના મેગ્નેટિક સ્ટ્રીપની જગ્યાએ ઈએમવી ચિપ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. કારણકે જૂના મેગ્નેટિક કાર્ડ્સને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને આની સાથે જ એટીએમના ઉપયોગમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. શક્ય છે કે પહેલા જ આપે આ વાત નોટિસ કરી લીધી હશે. પરંતુ જો ન કરી હોય તો અમે આપને અહીંયા વિસ્તારથી સમજાવવા જઈ રહ્યા છીએ.

નવું વર્ષ શરુ થતા પહેલા સરકારે તમામ બેંકોને પોતાના ગ્રાહકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને વધારે ઉત્કૃષ્ઠ સુવિધા માટે અપગ્રેડ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સરકારી આદેશ અંતર્ગત બેંકોએ ગ્રાહકોના જૂના કાર્ડની જગ્યાએ નવા કાર્ડ આપવાનું શરુ કર્યું હતું. જૂના કાર્ડની વેલિડિટી માત્ર 31 ડિસેમ્બર 2018 સુધી હતી. એટલે કે ત્યારબાદ આપ ઈએમવી ચિપ વગરના કાર્ડનો ઉપયોગ નહી કરી શકો. નવી ચીપ વાળા કાર્ડ આવ્યા બાદથી એટીએમનો ઉપયોગ કરવાની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે.

જો તમે નવા કાર્ડ આવ્યા બાદ એટીએમનો ઉપયોગ કર્યો હશે તો આપને આ જાણકારી ચોક્કસ હશે. જો તમે જોયું હશે કે આજકાલ એટીએમનો ઉપયોગ કરવા દરમિયાન આપને કાર્ડ પૂરી પ્રક્રિયા દરમિયા એટીએમથી લગાવીને જ રાખવું પડે છે. પહેલા યૂઝર્સને કાર્ડ માત્ર એકવાર વેરિફિકેશન માટે જ સ્વાઈપ કરવું પડતું હતું. પરંતુ હવે તમારે તમારી એટીએમની આખી પ્રક્રિયા સમાપ્ત ન થાય ત્યાં સુધી ટ્રાંઝેક્શન દરમિયાન કાર્ડને સ્લોટમાં લગાવીને જ રાખવું પડે છે. જો આપ એટીએમ કાર્ડને બહાર કાઢી લેવા ઈચ્છો છો તો તેમા મુશ્કેલી થાય છે અને એટીએમ કાર્ડ ખરાબ થવાની શક્યતાઓ પણ ખૂબ વધી જાય છે.

અત્યારે બેંકોએ પણ આ વાતની જાણકારી ગ્રાહકો સુધી મેસેજ દ્વારા પહોંચાડવાની શરુ કરી દીધી છે. બેંક દ્વારા મેસેજ મોકલવામાં આવે છે કે “ અમે અમારા ATMs અને રિસાઈકલર્સ પર સિક્યોરિટી ફિચર્સને અપગ્રેડ કર્યા છે. આપનું કાર્ડ પૂર્ણ ટ્રાંઝેક્શન પ્રક્રિયા દરમિયાન એટીએમમાં જ રહેશે. કૃપા કરીને એટીએમ છોડતા પહેલા પોતાનું કાર્ડ કલેક્ટ કરવાનું ન ચૂકશો”.

ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ નવું ફિચર શું છે. તો આપને યાદ જ હશે કે પહેલા એટીએમનો ઉપયોગ કરવાની કેટલીક પદ્ધતી હતી. જેમ કે આપ કાર્ડ એટીએમમાં નાંખતા હતા અને પાછુ કાઢી લેતા હતા. અથવા કેટલાક એટીએમ પહેલા કાર્ડને અંદર લેતા હતા ત્યારબાદ થોડો સમય રીડ કરતા હતા અને પછી બહાર કાઢી દેતા હતા. અથવા કેટલાક એટીએમમાં કાર્ડ અંદર જતું હતું અને તમારુ ટ્રાંઝેક્શન પૂર્ણ થયા બાદ જ કાર્ડ બહાર આવતું હતું.

હવે નવા નિયમ અનુસાર આખુ ટ્રાંઝેક્શન જ્યાં સુધી પતે નહી ત્યાં સુધી એટીએમને કાર્ડના સ્લોટમાં રાખવાનું રહેશે. અહીંયા કાર્ડ અંદર જતા લાઈટ રેડ થઈ જશે અને ટ્રાંઝેક્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્ડ સ્લોટમાં ગ્રીન લાઈટ થશે. જો તમે કાર્ડ બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો તો શક્ય છે કે તમારુ એટીએમ કાર્ડ ખરાબ થઈ જાય. અથવા તો ટ્રાંઝેક્શન કેન્સલ પણ થઈ જાય. જો તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલું એટીએમ આમ નથી કરી રહ્યું તો એનો અર્થ એ છે કે હજી તે નવા ફિચરમાં અપડેટ થયું નથી. તેને જલ્દી જ સિક્યોરિટી મેથડમાં અપગ્રેડ કરવામાં આવશે.