US ટ્રેડ વોર સામે ભારતનું નરમ વલણઃ 1000 નાગરિક વિમાનો ખરીદશે ભારત

નવી દિલ્હીઃ અમેરિકા સાથે બનેલી ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે ભારતે સંબંધોમાં સુધાર લાવવાના હેતુથી અમેરિકા પાસેથી આશરે 1 હજાર નાગરિક વિમાન ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતે આવનારા 7 થી 8 વર્ષ દરમિયાન વિમાનોની આ ખરીદી કરવા માટેની યોજના બનાવી છે. તો આ સિવાય અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદીમાં પણ વધારો કરવા માટેની વાત ચાલી રહી છે. ગત સપ્તાહે વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ પોતાના અમેરિકી સમકક્ષ સાથેની મીટિંગમાં આ વાત કહી હતી.

રવિવારે અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાઓના વ્યાપારિક પ્રતિનિધિ માર્ક લિંસ્કોટ વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બંન્ને દેશો વચ્ચે વ્યાપારના મોરચે ઉભી થયેલી સમસ્યાને લઈને વાત કરશે. ભારત દ્વારા અમેરિકાથી આયાત થનારી 29 વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પણ ભારત એ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તેના દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ ડબલ્યૂટીઓ દ્વારા તેને મળેલા અધિકારનો પ્રયોગ છે.

આ ટ્રેડ વોરની શરૂઆત અમેરિકાએ જ ભારતથી આયાત થનારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેક્સ વધારીને કરી હતી. ભારત દ્વારા અમેરિકા સમક્ષ પક્ષ રાખવામાં આવી રહ્યો છે કે તમારા દ્વારા ટેક્સના દર વધારવામાં આવ્યા અને તેના જવાબમાં અમે આ નિર્ણય લેધો છે. ભારત દ્વારા વધારવામાં આવેલા ટેક્સના દરો 4 ઓગષ્ટથી અમલી થશે. પરંતુ ત્યાર સુધીના સમયગાળામાં ભારતે અમેરિકાને એક પ્રકારે પરસ્પર સહમતિ બનાવવાનો સમય આપ્યો છે.

તો આ સીવાય 6 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રક્ષા પ્રધાન નિર્મલા સીતારમન પણ પણ પોતાના અમેરિકી સમકક્ષો સાથે મુલાકાત કરશે. આમાં પણ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક મામલાઓને લઈને બનેલા તણાવ પર ચર્ચા થશે તમામ મુદ્દાઓનું સમાધાન લાવવાનો પ્રયાસ થશે.