સોનાના દાગીના પર જાન્યુઆરીથી હૉલમાર્ક ફરજિયાત

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર આવતાં વર્ષથી સોનાના દાગીનામાં વેચાણ માટે હૉલમાર્ક ફરજિયાત કરશે. રામવિલાસ પાસવાને આ જાણકારી આપી હતી. પાસવાને જણાવ્યું કે તમામ સોનાના દાગીના પર જાન્યુઆરીથી હૉલમાર્ક જરૂરી બની જશે. મોટાભાગના ભારતીયો સોનાની શુદ્ધતા કેરેટની રીતે સમજે છે, એટલા માટે સોનાના દાગીના પર 916 માર્ક સાથે કેરેટ વેલ્યુ પણ હશે.

પાસવાને જણાવ્યું કે જ્વેલરીમાં હોલમાર્કનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આના દ્વારા ગ્રાહકોને જ્વેલરીની ગુણવત્તા ચોક્કસ રીતે ખબર નથી પડતી. આ સિવાય પાસવાને જણાવ્યું કે પ્રસ્તાવિત નિયમો અંતર્ગત હૉલમાર્કમાં જ્વેલરીમાં પ્રયોગ થયેલા સોનાના કેરેટનો પણ ઉલ્લેખ હશે.

બીઆઈએસ દ્વારા આયોજિત કોન્ફરન્સ ઓન વર્લ્ડ સ્ટેન્ડર્ડ્સ ડેના પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું હતું કે દેશમાં વેચાતું સોનું 14, 18, અને 22 કેરેટનું હોય છે, જે લોકો સોનું ખરીદે છે, તેઓ તેની ગુણવત્તા નથી જાણી શકતા. હવેથી સોનાના દાગીના પર હૉલમાર્કની સાથે કેરેટનો પણ ઉલ્લેખ કરાશે.