પેટ્રોલ, ડિઝલની આબકારી જકાતમાં કાપ મૂકવા સરકાર તૈયાર નથી

નવી દિલ્હી – દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધવાનું ચાલુ રહ્યું છે તે છતાં આ બંને ઈંધણની એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાની શક્યતાને કેન્દ્ર સરકારે આજે નકારી કાઢી છે.

એક ટોચના સરકારી અધિકારીનું કહેવું છે કે આવા કાપથી જે મહેસુલી આવકની ખોટ જાય એ ભોગવવા માટે હાલ કેન્દ્ર સરકાર કે કેટલાક રાજ્યોની સરકારો સ્થિતિમાં નથી.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાતી એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાથી નાણાકીય ખાધ પર અવળી અસર પડે. વળી, બિહાર, કેરળ અને પંજાબ જેવા રાજ્યો વેચાણ વેરા (અથવા વેલ્યૂ એડેડ ટેક્સ VAT)માં કાપ મૂકવાની સ્થિતિમાં નથી.

સરકારનું માનવું છે દેશમાં ઈંધણના ભાવમાં ઉછાળા માટે કારણભૂત ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ તથા રૂપિયાનું અવમૂલ્યન આવનારા દિવસોમાં સ્થિરતા પ્રાપ્ત કરશે અને તેથી દબાણ ઘટી જશે.

મુંબઈમાં આજે પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ રૂ. 88.12 જ્યારે ડિઝલનો ભાવ રૂ. 77.32 રહ્યો છે.