સરકારી બેંકોના કર્મચારીઓ આનંદો! હવે મળી શકે છે વેરિયેબલ પે

કોલકાતાઃ સરકારી બેંકોમાં લગભગ 8 લાખ કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષથી પગારની સાથે પર્ફોમન્સ લિંક્ડ ઈન્સેટિવ(પીએલઆઈ) મળી શકે છે. તેની પહેલા બેંકોના મેનેજમેન્ટે વેરિયેબલ પે એટલે કે પર્ફોમન્સ લિંક્ડ પેની દરખાસ્ત આપી હતી. વેરિયેબલ પે ખાનગી સેકટરની બેંકોના કર્મચારીઓને પહેલેથી મળે જ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ઈન્ડિયન બેંક એસોસિએશન(આઈબીએ) દ્વારા પગારના સ્લેબ નક્કી કરનાર કમિટીએ વીતેલા સપ્તાહે પીએલઆઈની દરખાસ્ત આપી હતી, જેનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આ કમિટીના પ્રમુખ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રાજકિરણ રાય છે. બેંકોના વાર્ષિક પરિણામ જાહેર થયા પછી પીએલઆઈની ગણતરી ગણાશે. સરકારી બેંકોના કર્મચારીઓના પગારમાં વધારો દ્વિપક્ષીય સમજૂતી પ્રત્યેક પાંચ વર્ષમાં થાય છે. પગારમાં વધારા માટે 11 સમજૂતી પર વાતચીત ચાલી રહી છે. આ સમજૂતી 1 નવેમ્બર, 2017થી લાગુ થશે.

ઑલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશનના જનરલ સેક્રેટરીના કહેવા પ્રમાણે પર્ફોમન્સ લિંક્ડ પેના મુદ્દા પરની ચર્ચા પછી વલણમાં ફેરફાર થયો છે. આઈબીએએ સ્પષ્ટ કર્યું છે કે પીએલઆઈને પગારમાં સામેલ કરવામાં ન આવે, આ દ્વિપક્ષીય સમજૂતીમાં પગાર વધારો અલગ થશે. આઈબીએએ સેલરીમાં 12 ટકા વૃદ્ધિની રજૂઆત કરી છે. જ્યારે બેંક યુનિયન્સ ઓછામાં ઓછા 15 ટકા વધારા પર ભાર આપી રહી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત કેટલીય સરકારી બેંકોએ પહેલેથી જ વિશેષ માપદંડોના આધાર પર કર્મચારીઓને રીવોર્ડ અને ઈન્સેટિવ આપવાની રજૂઆત કરી છે. પણ નવું સ્ટ્રકચર અલગ હશે. કારણ કે આ વાત વિશેષ બેંકોના પ્રદર્શન પર નિર્ભર રહેશે. કર્મચારીઓના પ્રદર્શન પર નહી, ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી એસોસિએશને જણાવ્યું છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના સૈદ્ધાંતિક તરીકે પીએલઆઈ માટે સહમતિ આપી છે. કારણ કે તેનાથી તમામ સરકારી બેંકોમાં સ્ટ્રકચર એક સમાન થઈ જશે. પણ તેની પદ્ધતિ હજી નક્કી થવાની બાકી છે.