15 લાખની ઈન્શ્યોરન્સ પોલિસી માટે સરકારની કંપનીઓ સાથે વાતચીત

નવી દિલ્હીઃ વાહન ચલાવતા લોકો માટે સરકાર સારી પોલીસી લઈને આવી છે. કાર અથવા દ્વિચક્રી વાહન ચલાવવા દરમિયાન દુર્ઘટના થવા પર મૃતકના પરિવારને 15 લાખ રુપિયા પ્રાપ્ત થશે. આવનારા થોડા સમયમાં જ સરકાર આ ઈન્શ્યોરન્સ પોલીસી લાવવા જઈ રહી છે. તમામ કાર ચાલકોને આ ઈન્શ્યોરન્સ કવર લેવું અનિવાર્ય હશે. ઈંશ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીઆઈ ઈંશ્યોરન્સ કંપનીઓ સાથે આ મામલે વાતચીત કરી રહી છે.

સરકારનું માનવું છે કે ટૂ વ્હીલર ધરાવતા લોકો મોટાભાગે ઈન્શ્યોરન્સ નથી કરાવતા. ત્યારે આવામાં દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થવા પર પરિવારને મોટુ નુકસાન થાય છે. એટલા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરે કંપનીઓને કહ્યું છે કે તેઓ તમામ વાહન માલિકોને ઈન્શ્યોરન્સ કવર આપે.ઈન્શ્યોરન્સનું આ કવર તમામ પ્રકારના વાહનો માટે હશે. આ કવરને મોટર પોલિસીમાં જોડી દેવામાં આવશે. આ કવરના બદલે વાહન પાલિકોને એક વર્ષના 750 રુપિયા આપવાના રહેશે. તમામ વાહન માલિકોને આ કવર લેવું અનિવાર્ય હશે. તાજેતરમાં જ ટૂવ્હીલર ખરીદવા પર એક વારમાં પાંચ વર્ષ માટે મોટર ઈન્શ્યોરન્સ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. કારની ખરીદી પર એક વારમાં ત્રણ વર્ષ માટે ઈન્શ્યોરન્સ કરાવવો પડે છે.

ગત વર્ષે ઓક્ટોબરમાં મદ્રાસ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં આઈઆરડીએઆઈને પર્સનલ એક્સીડન્ટ કવરને એક લાખથી વધારીને 15 લાખ કરાવવા માટે જણાવ્યું હતું. જેથી રોડ એક્સીડન્ટમાં મૃત્યુ પામનારા લોકોના પરિજનોને વળતર મળી શકે. મદ્રાસ હાઈકોર્ટના કહેવા પર ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર આને અનિવાર્ય કરવા જઈ રહ્યું છે.

ઈન્શ્યોરન્સ કંપનીઓ અનુસાર સરકારના નિર્ણયથી તે તમામ વાહન ચાલકોને કવર મળી જશે જેઓ પાસે અત્યાર સુધી ઈંશ્યોરન્સ કવર નથી. આ કવરથી પોલિસી હોલ્ડરને સારી મદદ પ્રાપ્ત થશે. ઘણીવાર દુર્ઘટના દરમિયાન માણસ વિકલાંગ બની જાય છે ત્યારે આવી સ્થિતીમાં આ કવરથી પીડિતને નાણાકીય રુપે સારી મદદ પ્રાપ્ત થશે.