ટાયરમાં નાઈટ્રોજન ગેસ ભરવો અનિવાર્ય થશે, વધશે આવો ખર્ચ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યસભામાં કહ્યું કે માર્ગ દુર્ઘટનાઓ અટકાવવા માટે ઘણાં પગલાઓ ભરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે નવા રાજમાર્ગ સીમેન્ટ અને કોંક્રિટથી બનાવવામાં આવી રહ્યાં છે જેના કારણે ટાયર્સ જલદી ગરમ થઈ જાય છે અને ફાટી જાય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ટાયરોમાં નાઈટ્રોજન ગેસ ભરવા મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે. આનાથી દુર્ઘટનાઓમાં ઘટાડો નોંધાશે.

નાઈટ્રોજન ગેસ ટાયરોને ગરમીમાં ઠંડા રાખે છે. નાઈટ્રોજન ગેસ રબરના કારણે ટાયરમાં ઓછો ફેલાય છે જેના કારણે ટાયરમાં પ્રેશર સારું રહે છે. એટલા માટે જ ફોર્મ્યુલા વન રેસિંગ કારોના ટાયર્સમાં નાઈટ્રોજન ગેસ જ ભરવામાં આવે છે. સાધારણ હવા ફ્રીમાં અથવા તો 5 રુપિયાના મૂલ્યથી ભરી આપવામાં આવે છે, જ્યારે નાઈટ્રોજન ગેસ ભરવા માટે 150 થી 200 રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે.

ગડકરીએ જણાવ્યું કે દેશમાં પ્રતિવર્ષ રોડ એક્સિડન્ટમાં આશરે દોઢ લાખ લોકોનાં મોત થાય છે. સરકાર આ મામલે ગંભીર છે અને આને રોકવા માટે નવો કાયદો લાવવા માંગે છે. પરંતુ સંબંધિત વિધેયક એક વર્ષથી સદનમાં પડતર છે. તેમણે સભ્યોને આને જલદી જ પસાર કરવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે દુર્ઘટનાઓના ઘણાં કારણો છે, જેમાં અપ્રશિક્ષિત ડ્રાઈવર, ખરાબ રોડ, અને દેખરેખનો અભાવ પણ કારણરુપ છે.

કેન્દ્રીયપ્રધાને કહ્યું કે વાહનચાલકોને પ્રશિક્ષિત કરવા માટે આખા દેશમાં આશરે 850 જેટલા ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવી રહ્યાં છે. વાહનોમાં એવી ટેક્નોલોજી લગાવવામાં આવી રહી છે, જે ચાલકોએ નશો કર્યો છે કે કેમ, વધારે સામાન, અને વધારે પેસેન્જર બેસાડવા સહિતની તમામ માહિતી સ્થાનિક પોલીસને આપી દેશે. વાહનોની ગતિને નિયંત્રણમાં રાખવાના ઉપાયો કરવામાં આવી રહ્યાં છે.