વિદેશથી આવેલી કેરળ પૂર રાહત સામગ્રીને કસ્ટમ્સ ડ્યૂટી, જીએસટીમાંથી મુક્તિ

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં, કોલસા અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કહ્યું છે કે પૂરની આફતમાં બરબાદ થયેલા કેરળ રાજ્યમાં વિતરીત કરવા માટે વિદેશોમાંથી મોકલવામાં આવતી રાહત સામગ્રીઓને કસ્ટમ્સ ડ્યૂટી અને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી મુક્તિ આપવામાં આવી છે.

ગોયલે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ આફતના સમયમાં કેરળને મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. અમે કેરળ પૂર રાહત માટે વિદેશોમાંથી મોકલવામાં આવી રહેલી રાહત સામગ્રીઓને કસ્ટમ્સ ડ્યૂટી તથા જીએસટીમાંથી બાકાત રાખી છે.

ગઈ 18 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળ રાજ્ય માટે રૂ. 500 કરોડની આર્થિક સહાયતાની જાહેરાત કરી હતી.

પૂરને પગલે કેરળમાં 3,274 રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે જેમાં 10 લાખ જેટલા લોકોએ આશરો લીધો છે.

ભારે વરસાદ અને તેને પગલે આવેલા પૂર તથા ભૂસ્ખલનની ઘટનાઓને કારણે રાજ્યમાં માર્યા ગયેલાઓનો આંક 370ને પાર કરી ગયો છે.