બે મહિનામાં FIIએ રૂ.25 હજાર કરોડનું નેટ વેચાણ કર્યું

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ઈન્વેસ્ટરોએ ભારતીય શેર માર્કેટમાંથી 13 હજાર કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું છે. ત્યારે 2 મહિનામાં એફઆઈઆઈએ આશરે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે. વિદેશી રોકાણ સતત ઓછું થવાથી શેર માર્કેટ પર દબાણ વધ્યું છે. એક્સપર્ટ્સનુ માનીએ તો ઘરેલુ માર્કેટ મોંઘુ થવાના કારણે, સ્થાનિક દ્રષ્ટીએ પોઝિટિવ ટ્રિગરની ઉણપ, ગ્લોબલ અનિશ્ચિતતા અને યુએસ ફેડ દ્વારા વ્યાજદરો વધારવામાં આવશે તેવા સંકેતને લઈને વિદેશી રોકાણકારો સ્થાનિક શેરબજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે. હાલ કંપનીઓ માર્કેટનો અર્નિંગ ગ્રોથ સુધરવાની રાહ જોઈ રહી છે, અને ત્યારબાદ જ તેઓ રોકાણ કરવા પાછા આવી શકે છે. અને જ્યાં સુધી એફઆઈઆઈનું નવું રોકાણ ન આવે ત્યાં સુધી થોડા સમય માટે શેરબજાર પર દબાણ જોવા મળી શકે છે.

જો આ કેલેન્ડરની વાત કરીએ તો માર્ચમાં શેરબજારમાં એફઆઈઆઈએ 30 હજાર 500 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. અને ત્યારબાદ વેચવાલી વધી ગઈ છે. એપ્રિલમાં એફઆઈઆઈએ માર્કેટમાં 2394 કરોડ, મે માસમાં 7711 કરોડ, જૂન માસમાં 3617 કરોડ અને જુલાઈ માસમાં 5161 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. તો ઓગષ્ટ મહિનામાં આશરે 12 હજાર કરોડ રૂપિયા માર્કેટમાંથી લીધા હતા. સપ્ટેમ્બર મહિનામાં પ્રોફિટબુકિંગ વધ્યું હતું અને રોકાણકારોએ 13 હજાર કરોડ રૂપિયા માર્કેટમાંથી પાછા ખેંચ્યા હતા. ત્યારે આને લઈને ઓગષ્ટથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 3 ટકાથી વધારે અને નિફ્ટી 2.3 ટકા ઘટ્યા છે.