અંતિમ પૂર્ણ બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે મોદી સરકાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર 2019ની આગામી ચૂંટણી પહેલા પોતાના અંતિમ પૂર્ણ બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહત આપી શકે છે. ચૂંટણી પહેલા સરકાર મિડલ ક્લાસને આકર્ષવા માટે ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. મધ્યમ વર્ગને બીજેપીનો સૌથી મોટો આધાર માનવામાં આવે છે. બજેટને લઈને સરકારમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. સરકાર અને પાર્ટીના એક મોટા વર્ગનું કહેવું છે કે બજેટમાં મિડલ ક્લાસના લોકોનું ધ્યાન રાખવું જોઈએ. સરકારમાં ટેક્સ છૂટ, હેલ્થ ઈંશ્યોરંસ પર વધારે લાભ, એફડી પર વધારે વ્યાજની ઘોષણા વગેરે સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક  મહિનાઓમાં સેંસેક્સમાં ઉછાળો અને મ્યૂચ્યૂઅલ ફંડ્સના રાટર્નમાં નફો થવાને લઈને આ સરકારી રોકાણ યોજનાઓનું આકર્ષણ ઘટી રહ્યું છે. થોડા સમય પહેલા નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ કહ્યું હતું કે સરકાર લોકો પાસે વધારે ફંડ છોડવા પર વિશ્વાસ કરે છે જેથી લોકો વધારેમાં વધારે ખર્ચ અને રોકાણ કરી શકે.