અનિલ અંબાણીને દેશ છોડી બહાર ન જવા દેવા એરિક્સનની સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી- સ્વીડનની ટેલિકોમ સાધનો બનાવતી કંપની એરિક્સન અને અનિલ અંબાણીની કંપની આરકોમ વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાય વધુ ગંભીર બનતી જાય છે. આ મામલે હવે એરિક્સને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને એવી માગ કરી છે કે, સુપ્રીમ અનિલ અંબાણી અને તેમના બે વરિષ્ઠ અધિકારીઓને પરવાનગી વગર દેશ છોડીને ન જવા દે. આ પહેલાં એરિક્સને આરકોમ પર એવા આરોપ લગાવ્યાં હતાં કે, આરોકોમ ઈરાદાપૂર્વક તેમના બાકી રહેલા 550 કરોડ રૂપિયાની ચૂકવણી નથી કરી રહી.એરિક્સને આરકોના અખિલ ભારતીય ટેલિકોમ નેટવર્કને ઓપરેટ અને જાળવણી કરવા માટે 2014માં સાત વર્ષ માટે કરાર કર્યા હતાં. હવે એરિક્સન તેમના 1000 કરોડ રૂપિયાથી વધુની રકમ રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે. જણાવી દઈએ કે, હાલ આરકોમ અંદાજે 46 હજાર કરોડના દેવા હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આરકોમે 30 સપ્ટેમ્બર સુધીમાં નાણાંની ચૂકવણી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ આરકોમ નાણાંની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી. આ મામલે એરિક્સને ફરીથી સુપ્રીમમાં અરજી દાખલ કરી અને કહ્યું કે, આરકોમ દેશના કાયદાનું સહેજ પણ આદર નથી કરી રહી, જેથી કોર્ટના આદેશ વગર આ લોકોને દેશની બહાર જવા પર પ્રતિબંધ મુકવો જોઈએ.

બીજી તરફ આરકોમે એરિક્સનના 550 કરોડની ચૂકવણી કરવા માટે વધુ 60 દિવસનો સમય માગ્યો છે.