સુપ્રીમ કોર્ટે RCom ને આપ્યો 15 ડિસેમ્બર સુધીનો સમય, ચૂકવવાનું છે 550 કરોડ રુપિયાનું દેવું

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને (આરકોમ) એરિક્સનને ચૂકવવાની નીકળતી રકમની ચૂકવણી માટે 15 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. 550 કરોડ રૂપિયાના આ મામલામાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ કહ્યું કે આરકોમને તેની એસેટ વેચવામાં આવી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ચૂકવણીનો સમય વધારવામાં આવ્યો છે. જોકે આ ડેડલાઈન બાદ કોઈ પણ ડેડલાઈન વધારવામાં આવશે નહિ.

સુપ્રીમ કોર્ટે આરકોમને વાર્ષિક 12 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ગત આદેશ પ્રમાણે આરકોમે 30 સપ્ટેમ્બર સુધીમાં એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. જોકે કંપની તેમાં નાકામ રહી હતી. તેણે વધારાનો 60 દિવસનો સમય માંગ્યો હતો.

કોર્ટના આદેશ છતાં ચૂકવણી ન કરવા પર એરિક્સને અનિલ અંબાણી વિરુધ્ધ કોર્ટમાં અવમાનની અરજી કરી હતી. તેની પર 15 ડિસેમ્બરે સુનાવણી થશે. સ્વીડનની ટેલિકોમ ઉપકરણ નિર્માતા કંપની એરિક્સન અને આરકોમની વચ્ચે વિવાદ ચાર વર્ષ જૂન છે. આરકોમે 2014માં તેનું ટેલિકોમ નેટવર્ક સંભાળવા માટે એરિક્સન સાથે 7 વર્ષની ડીલ કરી હતી.