મંદીનો મારઃ ઓટો બાદ હવે સ્પિનિંગ ઈન્ડસ્ટ્રી પણ સંકટમાં, જઈ શકે છે હજારો નોકરીઓ…

નવી દિલ્હીઃ દેશની સ્પિનિંગ ઈન્ડસ્ટ્રી સુધી મંદીનો માર પહોંચી ગયો છે. સ્પિનિંગ ઈન્ડસ્ટ્રી અત્યારે સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. દેશનું આશરે એક-તૃતિયાંશ જેટલું સ્પિનિંગ પ્રોડક્શન અત્યારસુધી બંધ થઈ ચૂક્યું છે, જે મીલો ચાલી રહી છે તે પણ મોટી નુકસાનીનો સામનો કરી છે. જો આ સંકટ દૂર ન થયું તો હજારો લોકોની નોકરીઓ જઈ શકે છે.સ્પિનિંગ ઈન્ડસ્ટ્રી કંઈક એવા જ સંકટમાંથી પસાર થઈ રહી છે કે જેવું 2010-11 માં જોવામાં મળ્યું હતું.

નોર્દન ઈન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશન અનુસાર રાજ્ય અને કેન્દ્રીય જીએસટી અને અન્ય કરના કારણે ભારતીય યાર્ન વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધાના લાયક નથી રહ્યું. એપ્રીલથી જૂનના ત્રિમાસીક ગાળામાં કોટન યાર્નના નિર્યાતમાં 34.6 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જૂનમાં તો આમાં 50 ટકા સુધી ઘટાડો નોંધાયો છે.

હવે સ્પિનિંગ મિલો એ સ્થિતીમાં નથી કે ભારતીય કપાસ ખરીદી શકે. આ જ સ્થિતી રહી તો આવતી સીઝનમાં બજારમાં આવનારા 80,000 કરોડ રુપિયાના કપાસની ખરીદી કરવા વાળું કોઈ નહી મળે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રુપથી આશરે 10 કરોડ લોકોને રોજગાર મળ્યો છે. આ એગ્રીકલ્ચર બાદ સૌથી વધારે રોજગાર આપનારું સેક્ટર છે. ત્યારે આવામાં મોટા પાયે લોકો બેરોજગાર થાય તેવી આશંકા છે. એટલા માટે નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશને સરકાર પાસેથી માંગ કરી છે કે તાત્કાલિક કોઈ પગલા ભરીને નોકરીઓ જતી બચાવો અને આ ઈન્ડસ્ટ્રીને NPA બનતા રોકો.