7,030 કરોડ રૂપિયા દેવા ચૂકવી દેવા નીરવ મોદી અને તેના સંબંધિતોને DRTનો આદેશ

મુંબઈઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડ (પીએનબી સ્કેમ) કેસમાં મુંબઈ ડેટ્સ રિકવરી ટ્રિબ્યુનલ વન દ્વારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને તેની જૂથ કંપનીઓને નવો આદેશ આપ્યો છે. ડીઆરટી -1 એ કહ્યું છે કે નીરવ મોદી, તેના સંબંધીઓ અને જૂથ કંપનીઓએ લગભગ બે વર્ષથી બાકી રહેલા પંજાબ નેશનલ બેંકને 7,030 કરોડ ચૂકવવા જોઈએ. આ અગાઉ 22 નવેમ્બરના રોજ ડીઆરટીએ નીરવ મોદી અને અન્ય આરોપીઓને 30 જૂન 2018થી સમગ્ર રકમ પર 14.30 ટકાના દરે વ્યાજ ચૂકવવા અને 15 દિવસની અંદર 1,75,000 નો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો પીએનબી પુનઃપ્રાપ્તિ કાર્યવાહી શરૂ કરશે.

ડીઆરટીએ નીરવ મોદી અને તેના નજીકના સંબંધીઓ અમી એન. મોદી, નિશલ ડી મોદી, દીપક કે. મોદી, નેહલ ડી મોદી, રોહિન એન. મોદી, અનન્યા એન. મોદી, અપાશા એન. મોદી અને પૂર્વી મયંક મહેતાને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

નીરવ મોદીની જૂથ કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે તેમાં ડીઆરટી 1 મુંબઇના ઇન્ચાર્જ પુનઃપ્રાપ્તિ અધિકારી સુજિત કુમાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. આ કંપનીઓમાં સ્ટેલર ડાયમંડ્સ, સોલર એક્સપોર્ટ્સ, ડાયમંડ આરયુએસ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ અને તેની 13 શાખાઓ, એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડ અને એનડીએમ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

જ્યારે નીરવ મોદીની નોટિસ મુંબઇના ગ્રોસવેન્સર હાઉસ અને દુબઇમાં શેરા ટાવર્સના સરનામે મોકલવામાં આવી છે અને અન્ય એક સંબંધી નેહલ ડી મોદીની નોટિસ ન્યૂયોર્કમાં તેમના જાણીતા સરનામે મોકલવામાં આવી છે. જુલાઈમાં ડીઆરટી-પૂનાના પ્રિસાઈડિંગ ઓફિસર દીપક ઠક્કર દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવ્યાંના ચાર મહિના પછી આ આદેશ આવ્યો છે.

ફેબ્રુઆરી 2017માં, નીરવ મોદી પર તેના મામા મેહુલ ચોક્સી તેમ જ તેના સંબંધીઓ અને કંપનીના અધિકારીઓ અને અન્ય લોકો સામે 14,000 કરોડના કૌભાંડમાં કેસ દાખલ કરાયો હતો.