જંતુનાશક દવાઓની નબળી ગુણવત્તાથી 30,000 કરોડનું નુકસાન, કૃષિસમાજે રજૂ કર્યો રીપોર્ટ

નવી દિલ્હી- ખેડૂતોની પ્રમુખ સંસ્થા, ભારતીય કૃષિ સમાજએ સોમવારે જણાવ્યું હતું કે, બજારમાં વેચાયેલી જંતુનાશકોમાંથી લગભગ એક ચતુર્થાંશ ભાગના નમૂનાઓ તપાસમાં નબળી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે. કૃષિ સમાજનું કહેવું છે, નબળી ગુણવત્તા યુક્ત જંતુનાશક દવાઓના પ્રયોગને કારણે ખેડૂત સમુદાયને વાર્ષિક ધોરણે આશરે 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ભારતીય કૃષિ સમાજે દાવો કર્યો છે કે,  તેણે ગુરગરામ સ્થિત સરકારી લેબોરેટરી-જંતુનાશક ફોર્મ્યુલેશન ટેક્નોલૉજી ઇન્સ્ટિટ્યુટ (આઈપીએફટી) માં ખુલ્લા બજારમાંથી એકત્રિત કરેલા જંતુનાશકોના કુલ 50 નમૂનાઓની તપાસ કરી હતી. જેમાંથી, 13 નમુનાઓ હલકી ગુણવત્તાના મળી આવ્યાં છે. ભારતીય કૃષિ સમાજના અધ્યક્ષ ક્રિષ્ના બીર ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ તપાસ અહેવાલો રજૂ કર્યાં હતાં. આ રિપોર્ટ મુજબ, જૈવિક જંતુનાશકોના નામે વેંચવામાં આવતા જંતુનાશકોમાં  રાસાયણિક જંતુનાશકોની ભેળશેળ જોવા મળી છે.

ડૉ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ” ખેડૂતોને જે જંતુનાશકોની ગુણવત્તા દર્શાવવામાં આવે છે, તે ગુણવત્તા હકીકતમાં આપવામાં આવતી નથી. બાયો જંતુનાશકોના નામે જાળ ફેલાયેલી છે, અને આ માટે જિલ્લા સ્તરે કામ કરતા જંતુનાશકોના નિરીક્ષકો અને રાજ્ય સ્તરીય પ્રયોગશાળાના પ્રભારીઓ જવાબદાર છે. વધુમાં આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં જંતુનાશક દવાના નિરીક્ષકો અને લેબ વિશ્લેષકોની મિલી ભગતને કારણે કૃષિ દવાઓનો આ કારોબાર જોરશોરથી ચાલી રહ્યો છે.

ચૌધરીએ કહ્યું કે બનાવટી જંતુનાશકોનું બજાર ચારથી પાંચ હજાર કરોડનો છે, જ્યારે નકલી જંતુનાશકોનો ઉપયોગ કરવાને  ખેડૂતોને 30,000 કરોડથી વધુ નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ડૉ. ચૌધરીએ જણાવ્યું કે, “ભારત જંતુનાશકોનું એક મોટો નિકાસકાર દેશ છે અને નિકાસ કરેલા માલની ગુણવત્તા વિશે કોઈ ફરિયાદ જોવા નથી મળી. એનો મતલબ સીધો છે કે, ભેળસેળ ઘરેલું બજારમાં વેચાતી જંતુનાશકોમાં જ કરવામાં આવે છે. પરીક્ષણમાં, 50 જંતુનાશકોમાંથી 23 જૈવિક જંતુનાશકો હતાં. રાસાયણિક જંતુનાશકોના ચાર નમૂના પ્રમાણભૂત સ્તરેને અનુરૂપ મળ્યા ન હતાં, જ્યારે બાયો-જંતુનાશકોના નવ નમૂનાઓ પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હતાં કારણ કે તેમાં રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.