50,000 સુધીના વ્યાજ પર TDS નહી કાપવા સીબીડીટીએ બેંકોને કર્યું સૂચન

નવી દિલ્હીઃ બેંકોમાં ફિક્સ ડિપોઝીટની વ્યાજની રકમ 10 હજાર રુપિયાથી વધી જાય તો વર્તમાન સમયમાં બેંકો આવકવેરા ધારાની કમલ 194એ મુજબ 10 ટકા લેખે ટીડીએસ કાપી લે છે પરંતુ બજેટ 2018-19માં નાણાપ્રધાને સિનિયર સીટીઝનને છુટ આપી હતી કે તેમાં સીનિયર સીટીઝનને ડિપોઝીટથી મળતી વ્યાજની રકમ 50 હજાર સુધીની આવકવેરામાંથી મુક્તિ આપી છે અને તેના માટે આવકવેરાની નવી કલમ 80ટીટીબી દાખલ કરવામાં આવી છે.

આ કલમ અનુસાર સીનિયર સીટીઝન્સને પોસ્ટ ઓફિસ તેમજ બેંકો ફિક્સ્ડ ડિપોઝીટમાંથી મળતી 50 હજાર સુધીની વ્યાજની રકમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જો કે આમ છતા પણ અત્યારે બેંકો સીનિયર સીટીઝનના કેસમાં પણ 10 હજારથી વધારે વ્યાજ થાય તો 10 ટકા લેખે ટીડીએસ કાપી લે છે.

ત્યારે બેંકોની દાદાગીરી મામલે સીબીડીટીને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સીબીડીટીએ એક પરીપત્ર જાહેર કર્યો છે અને સાથે જ જણાવ્યું છે કે સિનિયર સીટીઝનને મળતા વ્યાજની રકમ જો 50 હજારથી વધે તો જ 10 ટકા લેખે ટીડીએસ ચાર્જ કરવો.

પરીપત્રમાં જણાવાયું છે કે જો આ રકમ 50 હજારથી વધતી ન હોય તો કોઈ ટીડીએસ કરવો નહી. આવા કરદાતાઓને ફોર્મ-15એચ પણ ભરવાની જરૂર નથી. 50 હજારથી વધુ વ્યાજની આવક થતી હોય અને જો સિનિયર સીટીઝનની કુલ કરપાત્ર આવક 3 લાખથી વધતી ન હોયતો સિનિયર સીટીઝન ફોર્મ15-એચ ભરે તો પણ ટીડીએસ કરવું નહી.