નોટબંધીના દોઢ વર્ષ બાદ 60 ટકા વધ્યું કેશલેસ ટ્રાન્ઝેક્શન

નવી દિલ્હીઃ 8 નવેમ્બર 2016ના રોજ લાગુ કરાયેલી નોટબંધીને દોઢ વર્ષ થયું અને નાણાકીય વર્ષ 2017-18 પૂર્ણ થઈ ચૂક્યું છે. આ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 60 ટકા જેટલો વધારો થયો છે. આમાં સૌથી મોટી ભાગીદારી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી થઈ રહેલી ખરીદીની છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર માર્ચ 2018માં 109 કરોડ 80 લાખ ઈલેકટ્રોનિક પેમેન્ટ ટ્રાન્ઝેક્શન થયા, જ્યારે નવેમ્બર 2016માં 67 કરોડ 15 લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થયા. જો કે જાન્યુઆરી 2018માં રેકોર્ડ 112 કરોડ 23 લાખ ટ્રાન્ઝેક્શન થયા, પરંતુ સરકાર માટે સારા સમાચાર એ છે કે નવેમ્બર બાદ સતત ઈલેકટ્રોનિક ટ્રાન્ઝેક્શન વધ્યું છે. જેનાથી સરકારના કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન મળ્યું છે.

દેશમાં કેટલાય વર્ષોથી પ્લાસ્ટિક મની એટલે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ નોટબંધી બાદ આના ઉપયોગમાં મોટો વધારો થયો છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર કુલ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં 22 ટકાની ભાગીદારી છે. માર્ચ 2018માં જ્યાં 109 કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 24 કરોડ 71 લાખ ટ્રાન્ઝેક્શન પીઓએસ મશીન પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી થયા હતા.

સફળ થઈ રહ્યું છે કેશલેસ ઈકોનોમીનું સ્વપ્ન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીની જાહેરાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે “હું ઈચ્છું છું કે દેશ કેશલેસ ઈકોનોમીની દિશામાં આગળ વધે અને લોકો કેશનો ઉપયોગ ઓછો કરે. RBIના રીપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદીનું આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, કારણ કે બજારમાં નવી નોટ આવ્યા બાદ પણ લોકો સતત કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.