બજેટમાં નક્કર પગલાંઓનો અભાવ, અર્થતંત્ર સામે હજી ઘણા પડકારો ઊભા છે

દિલીપ વી. લખાણી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

મોદી સરકારની બીજી ટર્મમાં પ્રથમ મહિલા નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણને લોકસભામાં પોતાનું પ્રથમ બજેટ શુક્રવારે રજૂ કર્યું હતું. ભારતના બંધારણ હેઠળ સરકારે કોન્સોલિટેડેડ ફંડમાંથી ચાલુ વર્ષે ખર્ચ માટે અથવા ઈન્વેસ્ટમેન્ટ માટે નાણા ઉપાડવા હોય તો લોકસભા સમક્ષ આવક જાવકનો હિસાબ રજૂ કરવો પડે અને મંજૂરી લેવી પડે. પરંતુ સરકાર બજેટ દ્વારા પોતાની નીતી, ઈલેક્શનમાં આપેલા વચનોની પૂર્તી, દેશની પ્રગતી તથા વિવિધ પાસા પર પ્રકાશ ફેંકે છે.

સરકારે આગામી પાંચ વર્ષ માટેનો પ્લાન આ બજેટ દ્વારા રજૂ કર્યો છે. ભારતની ઈકોનોમી 5 Trillion USD (રૂ.3,43,50,000 કરોડ) 2024ની સાલમાં થઈ જશે, તેવું જણાવ્યું છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જાતજાતની યોજનાઓ જાહેર કરી છે. સરકાર સામે આજે ધીમો આર્થિક વિકાસ, બેરોજગારી, એગ્રીકલ્ચર સેક્ટરના વિકટ પ્રશ્નો, બચતનો મંદ દર, બેંકોના NPA, NBFC પાસે નાણાનો અભાવ વિગેરે સ્થિતિનો સામનો કરવાનો છે. આવા સંજોગોમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂ.20 લાખ કરોડના નાણાની જરૂરિયાત પૂરી કરવા ફોરેન ઈન્વેસ્ટર, નોન રેસિડેન્ટ ઈન્ડિયનો તરફ મીટ માંડી છે અને તેમને ભારતમાં રોકાણ કરવાના નિયમો હળવા બનશે તેમ જણાવ્યું છે. ભારતીયોના સેવિંગને સરકારી સિક્યુરિટીઝ તરફ વાળવા માટે બોન્ડ માર્કેટને સક્રિય કરી લોકોને આર્કષવાના પ્રયત્નો કરશે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા ઘણી બધી આઈટમો પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે. તેથી તુરતમાં વસ્તુઓ મોંઘી થશે અને જ્યારે તે વસ્તુઓ ભારતમાં બનતી થશે ત્યારે ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ડ્યુટી વધારવાથી ઈન્ફ્લેશન વધશે અને માલની પડતર કિંમત વધશે. હાઈનેટવર્થ ઈન્ડિવિજ્યુલ પર 3 ટકાથી 7 ટકાનો વધુ બોજો લાદી તેમની ઈન્વેસ્ટમેન્ટની ક્ષમતા ઘટાડી દીધી છે. સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે આવકવેરા ધારામાં સુધારા કર્યા છે,. લેબર ધારામાં સુધારા કરીને નેશનલ પોલીસી લાવવાની કોશિશ છે, જે દેશમાં સારી રીતે ચાલી શકશે કારણકે દરેક રાજ્યની પરિસ્થિતિ જુદી છે અને ઓછા પગારનો લાભ લેવા જ ઈન્ડસ્ટ્રી અમુક જગ્યા પર સ્થપાય થાય છે. એક સરખા પગારની નિતી યોગ્ય નથી.

ભારતીય નાગરીક તેમના કોઈ મિત્ર કે બીજાને ભારતમાંથી બક્ષિસ તરીકે મોકલાવે તો તેના પર હવે નોનરેસિડેન્ટ વ્યક્તિએ આવક વેરો ભરવો પડશે.

ભારતીય નાગરિકે એફોર્ડેબલ હાઉસિંગ માટે તથા E-Vehicle માટે લોન લીધી હોય તો તેને રૂ.3,00,000 સુધીનું વ્યાજ આવકવેરાની ગણતરીમાં મર્જર મળશે.

રિઅલ્ટી સેક્ટરમાં મોટા પાયે મંદી છે. વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકો માટે ઓફોર્ડેબલ ઘર આપવાનું વચન આપ્યું છે, બિલ્ડરો વધુને વધુ ઓફોર્ડેબલ ઘરો બનાવે તે માટે આવકવેરા ધારામાં સુધારા કરીને ચાર મેટ્રોપોલિટન શહેરમાં ફક્ત 30 મીટરના કારપેટ એરિયાના ઘરો બનાવે અને બીજા શહેરોમાં 60 મીટરના કારપેટ એરિયાના ઘરો બનાવે તો આવકવેરામાં માફી હતી. હવે 30 મીટરને 60 મીટર અને 60 મીટરને 90 મીટર કરવામાં આવ્યા છે. આ સુધારાથી હવે મોટી જગ્યા એફોર્ડેબલ હાઉસિંગ હેઠળ આવી શકશે અને અમુક શરતોને આધીન બિલ્ડરોની કુલ આવક માફ થશે.

પબ્લિક કંપની જો પોતાના શેરો બાયબેક કરે તો ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ  ભરવાની જવાબદારી ન હતી પરંતુ હવે તેમણે પણ કલમ 116 QA હેઠળ વેરો ભરવો પડશે.

નાણાપ્રધાને ભવિષ્યમાં શું થશે તેના નારા તો બતાવ્યા છે પરંતુ કોઈ એવા ઠોસ પગલા લીધા નથી.