બેન્કિંગ સેવા મોઘીઃ ATMમાંથી લિમીટ કરતા વધારે પૈસા ઉપાડ્યા તો લાગશે GST

નવી દિલ્હીઃ દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવી રહેલી મફત સેવાઓ જેવી કે એટીએમ, ચેકબુક અથવા સ્ટેટમેન્ટ સહિતની સેવાઓ પર જીએસટી નહી લાગે. આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીઝ અને કસ્ટમે સવાલ-જવાબ તરીકે જાહેર કરી છે. જો કે ટેક્સ વિભાગે જણાવ્યું છે કે ક્રેડિટ કાર્ડનું લેઈટ પેમેન્ટ કરવા પર અથવા તો ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા તો બેંક જીએસટી વસુલશે. તો આ સીવાય મફત સેવા સિવાય આપવામાં આવતી કોઈપણ સેવાઓ પર જીએસટી લગાવવામાં આવશે. આનો અર્થ એ છે કે એટીએમના ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થયા બાદ જો કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે તો તેના પર જીએસટી લાગશે.

ઉલ્લેખનીય છે કે બેંકિંગ સુવિધા પર જીએસટીમાં આ વિવાદ ત્યારે સામે આવ્યો કે જ્યારે નાણામંત્રાલયના બે વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસીઝ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂની મફત સેવાઓ પર જીએસટી લગાવવાને લઈને અલગઅલગ મત સામે આવ્યો. ત્યાર બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીઝ અને કસ્ટમે સવાલ-જવાબ જાહેર કરતા બેંક અને ગ્રાહકો માટે આ મુદ્દાને સ્પષ્ટ કરવાની કોશીષ કરી છે.

ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ એ વાત સ્પષ્ટ થાય છે કે ગ્રાહકોને પ્રતિમાસ બેંકો દ્વારા જે 3 થી 5 ટ્રાન્ઝેક્શન મફતમાં મળે છે કે તેના પર કોઈ જ જીએસટી નહી લાગે. પરંતુ આના કરતા વધારે ટ્રાન્ઝેક્શન થશે તો જીએસટી લાગશે. આ પ્રકારે ગ્રાહકોને બેંક પાસેથી મફતમાં મળનારી ચેકબુક અથવા ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર પણ જીએસટી નહી લાગે. પરંતુ ફ્રી સુવિધાથી વધારે કોઈપણ કામ કરવામાં આવશે તો તેના પર જીએસટી લાગશે.