અજીમ પ્રેમજી બન્યા ભારતના સૌથી મોટા દાનવીર, વિપ્રોના 34% શેર દાન કર્યા

નવી દિલ્હીઃ IT માંધાતા અને વિપ્રોનાં અધ્યક્ષ અજીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડનાં 34% શેર એટલે કે 52,750 કરોડ રૂપિયાનું બજારમૂલ્ય ધરાવતાં શેર દાનમાં આપી દીધા છે. ફાઉન્ડેશને પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે અજીમ પ્રેમજીએ પોતાની ખાનગી સંપત્તિઓનો ત્યાગ કરવા તેમજ સેવાકાર્ય કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે જેનાથી અજીમ પ્રેમજી ફાઉન્ડેશનને સેવાકાર્ય કરવા માટે વેગ મળશે.

નિવેદન અનુસાર અજીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડની કુલ સંપત્તિની 67% રકમ દાન કરી દીધી છે.  અજીમ પ્રેમજી ફાઉન્ડેશને કહ્યું હતું કે ફાઉન્ડેશન શાળાકીય શિક્ષણ સિસ્ટમ સુધારા માટે જિલ્લા અને રાજ્યસ્તરે સંસ્થાનોનાં નેટવર્કને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશને બેંગ્લોરમાં અજીમ પ્રેમજી યુનિર્વસિટીની સ્થાપનાં પણ કરી છે.  વધુમાં ફાઉન્ડેશને કહ્યું હતું કે આ પગલાંથી શિક્ષણ ઉપરાંતનાં અન્ય સેવાકાર્યો કરવામાં મદદ મળશે તેમજ આગામી સમયમાં આ સેવાકાર્યોમાં વધારો થશે.

તમને જણાવી દઈ કે અજીમ પ્રેમજીને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવેલિયર ડી લા લીજન ડી ઑનર’ પણ આપવામાં આવ્યું હતું. IT ઉદ્યોગને વિકસિત કરવા, ફ્રાન્સમાં આર્થિક સહયોગ તેમજ અજીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિશ્વવિદ્યાલય દ્વારા એક સમાજસેવીનાં રૂપમાં સમાજમાં તેમનાં યોગદાનને લઈને આ સન્માન આપવામાં આવ્યું હતું. ફ્રાન્સનું આ સન્માન બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી અને બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને મળી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અલગ થયા બાદ જિન્નાએ અજીમ પ્રેમજીનાં પિતા હાશિમ પ્રેમજીને પાકિસ્તાનનાં નાણામંત્રી બનાવવાની ઓફર આપી હતી જો કે તેઓએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેઓ એક પ્રખ્યાત વેપારી હતા. તેઓ ચોખા અને તેલનો વેપાર કરતા તેમજ તેઓ રાઈસ કિંગ ઓફ બર્મા તરીકે પણ ઓળખાતાં હતા.