52,000 કરોડ રુપિયાના 35 લાખ વાહનને નથી મળતાં લેવાલ, 7 કંપનીના પ્લાન્ટ બંધ

નવી દિલ્હીઃ દેશની 10 ટોચ કાર અને ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ પૈકી 7 દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસો સુધી પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને બંધ રાખશે. કંપનીઓએ આવો નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે કાર અને ટૂ-વ્હીલર્સના ઓછા વેચાણને લઈને તેમની ઈન્વેન્ટરી અત્યાર સુધી વેચાઈ નથી. કંપનીઓ પહેલાં તે વાહનોને વેચવા ઈચ્છે છે, ત્યારબાદ નવા વાહનોના મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. આ પગલાંથી ભલે કંપનીઓને પોતાની ઈન્વેન્ટરી ખાલી કરવામાં મદદ મળશે પરંતુ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પોતાના ગ્રોથ ટાર્ગેટને પૂર્ણ નહીં કરી શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનની શરુઆતમાં આશરે 35000 કરોડ રુપિયાની કીંમતના 5 લાખ પેસેન્જર વ્હીકલ્સ અને 17.5 હજાર કરોડના 30 લાખ ટૂ-વ્હીલર ડીલરશિપ્સમાં ઉભા છે, પરંતુ તેમને ગ્રાહકો નથી મળી રહ્યાં. પ્લાન્ટ બંધ કરનારી કંપનીઓમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શામેલ છે. આ કંપનીઓએ મે થી જૂન વચ્ચે પોતાના પ્લાન્ટ બંધ રાખ્યાં છે.

મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ બંધ થવાથી મે-જૂન વચ્ચે ઈન્ડસ્ટ્રીનું આઉટપુટ 20-25 ટકા ઘટવાની આશંકા છે. પરંતુ ખોટ ડીલર્સને થઈ રહી છે, જેમની ઈન્વેન્ટરીમાં સામાન્યથી 50 ટકા વધારે વાહન રાખ્યાં છે. તેમને આ વાહનો પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે.

મારુતિ, મહિન્દ્રા અને ટાટા મોટર્સે મે માસમાં ઘણાં દિવસો માટે પ્રોડક્શન રોકી દીધું હતું. આ કંપનીઓ આ મહિને 4 થી 10 દિવસ માટે બીજીવાર પ્રોડક્શન બંધ કરવા જઈ રહી છે. આ વખતે Honda Cars India, Renault-Nissan Alliance અને Skoda Auto નો સમાવેશ થાય છે.