મુંબઈ-એરપોર્ટ સતત ચોથા વર્ષે ‘શ્રેષ્ઠ એરપોર્ટ’ ઘોષિત

મુંબઈઃ જીવીકે ગ્રુપ એરપોર્ટ્સ બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે તેના દ્વારા સંચાલિત મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષ માટે શ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું છે. ચાર કરોડથી વધુ પ્રવાસીઓની અવરજવરની કેટેગરીમાં કદની દ્રષ્ટિએ મુંબઈ એરપોર્ટ શ્રેષ્ઠ ઘોષિત કરાયું છે.

વૈશ્વિક એવિએશન ઉદ્યોગના ઈતિહાસમાં કોરોના વાઈરસને કારણે સૌથી પડકારજનક બનેલા 2020ના વર્ષમાં પણ ગ્રાહકોને પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડીને એમને સર્વોત્તમ સેવા મળ્યાનો અનુભવ કરાવવામાં સમર્પણ અને પ્રતિબદ્ધતા દર્શાવવા બદલ શિવાજી મહારાજ એરપોર્ટની સરાહના કરવામાં આવી છે.