ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે, જે ગુજરાતમાં વહીવટી સરળીકરણની દિશામાં ખૂબ મહત્ત્વનો નિર્ણય બની રહેશે.
નવા તાલુકાઓની રચના થકી ગુજરાતમાં હવે તાલુકાઓની સંખ્યા વધીને 265 થશે.
આ વહીવટી વિકેન્દ્રીકરણના લીધે નાગરિકોને નજીકમાં… pic.twitter.com/IbrAY4YbAX
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 24, 2025
બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, ‘સરકારે રાજ્યના શાસનમાં સરળતા રહે તે હેતુથી આ નિર્ણય લીધો છે. નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ કરવાના હેતુ સાથે આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે.આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે. એટલું જ નહીં નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
નવા તાલુકા:
નવા તાલુકામાં રાહ, ઉકાઈ, અરેઠ, અંબિકા, ઓગડ, ધરણીધર, ગુરુ ગોવિંદ લીંબડી, કદવાલ, ફાગવેલ, શામળાજી, સાઠંબા, ઉકાઈ, ગોધર, કોઠંબા, ચીકદા, નાનાપોઢા તથા હડાદ સામેલ છે.


