દાળ, ચોખા એક થાય અને તરીયો તેડે રે

 

દાળ, ચોખા એક થાય અને તરીયો તેડે રે

 

ખીચડી બનાવી હોય તો દાળ અને ચોખા ભેગા કરી એને રાંધવા મૂકવી પડે. ચોખા ડાંગરમાંથી બને. આ ચોખામાં ક્યારેક છોતરુ ન ઉખડ્યું હોય એવો ડાંગરનો દાણો પણ ચોખાની સાથે આવી જતો હોય છે. આવા દાણાને “તરીયો”(ચોખામાં રહી ગયેલ આખો ડાંગરનો દાણો) કહેવાય. ખીચડી ચડવા મૂકીએ ત્યારે દાળ અને ચોખા બફાઈને એક રસ થઈ જાય પણ તરીયો ચડે નહીં અને એક બાજુ જ રહે.

આ કહેવત એ સંયોગોમાં વપરાય છે જ્યારે કોઈ બહારની વ્યક્તિ કુટુંબના કોઈ મામલામાં દખલ દેતી હોય અને અંતે કુટુંબવાળા સૌ સંપી જાય અને પેલો માણસ એકલો પડી જાય. આ જ પ્રમાણે કોઈ ત્રાહિત માણસ ક્યારેક ગાઢ મિત્રોની વચ્ચે પણ દરમ્યાનગીરી કરવા જાય ત્યારે અંતે તો સત્ય સમજાતાં પેલા બધા એક થઈ જાય અને આ “તરીયો” બાજુમાં (તેડે-તીરાડે) રહી જાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)