મોદી સરકારે NRIs માટે લોન્ચ કરી ‘પ્રવાસી તીર્થદર્શન યોજના’…

વિદેશમાં વસતા ભારતીયોને માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડાપણ હેઠળની ભાજપ-એનડીએ સરકારે ‘પ્રવાસી તીર્થદર્શન યોજના’ લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત 45-65 વચ્ચેની વયના બિનનિવાસી ભારતીયો ભારતના ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકશે. આ પ્રવાસ ભારત સરકાર પ્રાયોજિત રહેશે અને વર્ષમાં બે વાર યોજાશે. વડા પ્રધાન મોદીએ 22 જાન્યુઆરી, મંગળવારે વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું અને આમંત્રિત બિનનિવાસી ભારતીયોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મોરિશ્યસના વડા પ્રધાન પ્રવીણ કુમાર જુગનોથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાયબ વિદેશ પ્રધાન વી.કે. સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ટી.એસ. રાવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહ્યાં હતાં.