અમદાવાદમાં સમારંભઃ મોદી-શાહે જનતાનો આભાર માન્યો…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે 26 મે, રવિવારે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે સ્વાગતમ, અભિવાદન સમારંભમાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. લોકસભા ચૂંટણી-2019માં ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપને જિતાડવા બદલ રાજ્યની જનતાનો આભાર માનવા માટે તેમજ પોતાની નવી મુદત શરૂ કરતા પહેલાં રાજ્યની જનતા, પક્ષના કાર્યકર્તાઓનાં આશીર્વાદ લેવા માટે મોદી અમદાવાદ આવ્યા હતા. એમણે પોતાના સંબોધનમાં સુરતની આગ દુર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે એ દુર્ઘટનાને કારણે ભાજપે ચૂંટણીમાં થયેલી જીતની ઉજવણી કરવાનું રદ કર્યું છે. મોદીએ કહ્યું, 'જનતાએ મારી પર જે પ્રેમ વરસાવ્યો છે એ બદલ હું એમને નમન કરું છું.' મોદીએ એમ પણ કહ્યું કે 'ગુજરાતે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને તે પણ 40-50 ડિગ્રીની ગરમીમાં.' કાર્યક્રમના આરંભે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા ગુજરાત ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ મોદી તથા શાહનું સ્વાગત કર્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)