મોઝામ્બિકની સહાયતા માટે ‘INS મગર’ જહાજ મુંબઈથી રવાના

આફ્રિકાના મોઝામ્બિક દેશમાં વાવાઝોડાએ ભારે વ્યાપક વિનાશ વેર્યો છે. ત્યાંના વાવાઝોડા-ગ્રસ્તોની મદદે ભારતીય નૌકાદળ આવ્યું છે. નૌકાદળનું યુદ્ધજહાજ 'INS મગર' 300 ટન રાહત સામગ્રી સાથે 28 માર્ચ, ગુરુવારે મુંબઈથી મોઝામ્બિકના પોર્ટ બેઈરા જવા માટે રવાના થયું છે. આ રાહત સામગ્રીમાં આવશ્યક દવાઓ, રોગચાળા સામે રક્ષણ આપતી દવાઓ, ખાદ્યપદાર્થો, કપડાં, ઝડપથી તંબૂ બનાવી શકાય એ માટેની સાધનસામગ્રી, સમારકામ માટેના સાધનોનો સમાવેશ થાય છે. આ જહાજની સાથે ભારતીય નૌકાદળનું એક લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર 'ચેતક' પણ છે, જેનો ઉપયોગ રાહત કામગીરીઓ માટે કરવામાં આવશે.