સુષમા સ્વરાજ અનંતયાત્રાએ પ્રયાણ કરી ગયાં…

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના 7 ઓગસ્ટ, બુધવારે બપોરે નવી દિલ્હીમાં લોધી રોડ સ્મશાનભૂમિ ખાતે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમનાં પાર્થિવ દેહને રાષ્ટ્રીય તિરંગો ઓઢાડવામાં આવ્યો હતો. પુત્રી બાંસુરીએ માતા સુષમાની અંતિમક્રિયા સંપન્ન કરી હતી. અંતિમસંસ્કાર વખતે સુષમા સ્વરાજનાં પતિ સ્વરાજ કૌશલ અન્ય પરિવારજનો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય કેબિનેટ પ્રધાનો, ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ વગેરે નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સુષમા સ્વરાજનું 6 ઓગસ્ટ, મંગળવારે મોડી સાંજે હૃદયરોગનો હુમલો આવતાં નિધન થયું હતું. તેઓ 67 વર્ષનાં હતાં.