વડોદરા– જીએસએફસી પરિસરમાં યોજાઇ રહેલી ૯મી ચિંતન શિબિરનો બીજા દિવસનો પ્રારંભ વહેલી સવારના કુદરતના શુધ્ધ અને વૃક્ષાચ્છાદિત પરિસરમાં યોજાયેલા યોગાભ્યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્યાસમાં પ્રશિક્ષકે યોગમાં યમથી સમાધિ સુધીના સમન્વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મંત્રીમંડળના પ્રધાને અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગમાં જોડાયા હતા. આ યોગાભ્યાસનો પ્રારંભ સુક્ષ્મ યોગ પ્રાણાયામથી અને ધ્યાનથી સમાપન થયું હતું.
જી.એસ.એફ.સી.પરિસર અને સરકીટ હાઉસ ખાતે વહેલી સવારે યોજાયેલ યોગાભ્યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્યાસ કર્યો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગાભ્યાસ બાદ જી.એસ.એફ.સી.પરિસરના વિખ્યાત વડના વૃક્ષ નીચે સર્વે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કર્યુ હતું.