‘ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮’નું વિમોચન

ગાંધીનગર-  ગાંધીનગરમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યના શિરમોર સમા વિક્રમ સંવત ૨૦૭૪ના ‘ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮’નું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિમોચન કર્યું હતું.

તેમણે કહ્યું કે, સાહિત્ય સર્જન સંસ્કાર ઘડતરમાં મહત્વનો ફાળો આપતું હોય છે. શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય વારસાથી ગુજરાતની ભૂમિ સમૃદ્ધ છે.  કલા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કારનું અનોખું પ્રતિબિંબ ‘ગુજરાત દિપોત્સવી અંક’માં ઝીલાતું હોય છે. માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રતિવર્ષ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું સંકલન પ્રસ્તુત કરીને ગરવા ગુજરાતની ગરિમાથી અવગત કરાવવાનું મહત્વપૂર્ણ કામ કરવામાં આવે છે.